આજ થી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ નિમિત્તે ઐતિહાસિક શિવધામો ભવ્ય શણગારથી ઝળહળી ઊઠ્યા છે. જામનગરના ભીડભંજન મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ફૂલો અને રંગબેરંગી રોશનીથી મનોરમ દ્રશ્યો સર્જાયા છે. પવિત્ર શ્રાવણ માસમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભક્તો મંદિરોએ ઉમટ્યા છે.
દેવાધિદેવ મહાદેવ અને જગતજનની દેવી પાર્વતીની આરાધનાનો સૌથી પવિત્ર અને મહાફળદાયી ગણાતો શ્રાવણ માસ આજે ગુરુવારથી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શરૂ થઈ ચૂક્યો છે. આ ભક્તિમય પવિત્ર માસ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ૨૯ જુલાઈથી જ આ પવિત્ર માસનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.
ભારતના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં શ્રાવણ માસની તારીખોમાં આ તફાવતનું મુખ્ય કારણ ત્યાં પ્રચલિત અલગ-અલગ પંચાંગ છે. ઉત્તર ભારતના રાજ્યો ‘પૂર્ણિમંત’ કેલેન્ડર (પૂનમ પછી નવા મહિનાની શરૂઆત) ને અનુસરે છે, જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યો ‘અમાવસ્યંત’ કેલેન્ડર (અમાસ પછી નવા મહિનાની શરૂઆત) ના આધારે પોતાના તહેવારો ઉજવે છે. આ વૈજ્ઞાનિક અને ખગોળીય ગણતરીના કારણે જ ઉત્તર અને દક્ષિણમાં ઉજવણીની તારીખોમાં તફાવત જોવા મળે છે.
શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે રખાતા ‘શ્રાવણી સોમવાર વ્રત’નું અત્યંત વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. સામાન્ય રીતે પણ સોમવારનો દિવસ ભગવાન ભોળાનાથને પ્રિય હોય છે, પરંતુ શ્રાવણ માસના સોમવારે શિવપૂજાનું પુણ્યફળ અનેકગણું વધી જાય છે. આ દિવસોમાં ભક્તો અંશતઃ અથવા પૂર્ણ નિરાહાર ઉપવાસ રાખીને શિવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક, મધ, ધતુરો, બીલીપત્ર અને પંચામૃત ચઢાવી ‘ઓમ નમઃ શિવાય’ ના પવિત્ર મંત્રોચ્ચાર સાથે મહાદેવની આરાધના કરે છે.
શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર શ્રાવણી સોમવારનું વ્રત જીવનમાં પરમ શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે. અપરિણીત યુવતીઓ મનોવાંછિત વર મેળવવા માટે આ વ્રત પાળે છે, જેમ કે દેવી પાર્વતીએ શિવજીને પતિરૂપે પામવા કઠોર તપ કર્યું હતું. તેમજ પરિણીત દંપતીઓ પોતાના દામ્પત્ય જીવનમાં સુખ અને સંવાદિતા જાળવી રાખવા માટે શિવ-પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
