દેશભરની યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવ અટકાવવાના હેતુથી લાવવામાં આવેલા “UGC ઇક્વિટી રેગ્યુલેશન્સ, 2026” (ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નિયમો) પર ચાલી રહેલો કાનૂની અને સામાજિક વિવાદ હવે એક નિર્ણાયક વળાંક પર પહોંચ્યો છે. આ જાન્યુઆરીમાં યુજીસી દ્વારા અધિસૂચિત કરવામાં આવેલા આ નવા નિયમો સામે સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેના પરિણામે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ જ આ નિયમોના અમલ પર વચગાળાનો સ્ટે આપીને 2012ના જૂના નિયમો યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો. હવે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ ગુરુવારે થયેલી મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો પક્ષ મૂકતા સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકાર અને UGC આ સમગ્ર નીતિગત માળખા પર સઘન પુનર્વિચાર કરી રહ્યા છે.
વિવાદનું મુખ્ય કેન્દ્રબિંદુ નિયમોની કલમ 3(c) માં આપવામાં આવેલી “જાતિ-આધારિત ભેદભાવ” ની વ્યાખ્યા છે. અરજદારોના વકીલોએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આ વ્યાખ્યા અત્યંત સંકુચિત છે અને તે કેવળ અમુક ચોક્કસ અનામત વર્ગો (SC, ST, OBC) ને જ ભેદભાવ સામે રક્ષણ પૂરું પાડે છે. આના કારણે બિન-અનામત કે સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ સંસ્થાકીય પૂર્વગ્રહ, અન્યાય કે ખોટી ફરિયાદો સામે સંપૂર્ણપણે રક્ષણવિહીન બની જાય છે. આ ઉપરાંત, નવા નિયમોમાં ખોટી ફરિયાદો સામે દંડ અથવા નિવારણની કોઈ સ્પષ્ટ જોગવાઈ ન હોવાથી તેના દુરુપયોગની વ્યાપક શક્યતાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ પ્રાથમિક દ્રષ્ટિએ આ નિયમોને અસ્પષ્ટ અને વિભાજનકારી અસરો જન્માવી શકે તેવા ગણાવીને તેના પર રોક લગાવી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુજીસીને અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ બંધારણીય અને વહીવટી મુદ્દાઓને સાંકળી લેતું વિગતવાર પ્રતિ-એફિડેવિટ (નોધાવવા ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે UGC એ પોતાના જવાબની નકલ તમામ અરજદારોને સોંપવાની રહેશે, જેના આધારે અરજદારો આગળના બે અઠવાડિયામાં પોતાનો પ્રત્યુત્તર રજૂ કરી શકશે. કેન્દ્ર સરકારના પુનર્વિચારના સ્ટેન્ડ બાદ હવે એ જોવું મહત્વપૂર્ણ રહેશે કે સરકાર સુધારાત્મક ફેરફારો કરીને નવું સર્વસમાવેશી માળખું રજૂ કરે છે કે કેમ, કારણ કે આ નિર્ણય દેશના કરોડો વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક વાતાવરણની સમાનતા પર સીધી અસર પાડશે.
