વડાપ્રધાન મોદીએ આજે સવારે રાષ્ટ્રજોગ કર્યું હતું અને એ દરમિયાન તેમણે વિવાદિત ત્રણેય કૃષિ કાનુનોને પરત લેવાની જાહેરાત કરી હતી. તેમણે આ મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોને ઘરે પાછા ચાલ્યા જવાની પણ અપીલ કરી હતી. અત્રે એ નોંધનિય છે કે, મોદી સરકાર ગયા વર્ષે કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે ત્રણ કાનુન લાવી હતી. પણ અનેક કિસાન સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા હતા.
વડાપ્રધાને કાનુન પરત લેવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, અમે ખેડૂતોના હીતમાં આ ત્રણેય કાનુન લાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કદાચ અમે કેટલાક ખેડૂતોને આ અંગે સમજાવવામાં નિષ્ફળ રહ્યા છીએ. પીએમએ વધુમાં કહ્યું હતું કે, આ મહિનાના અંતે શરૂ થનારા સંસદના સત્ર દરમિયાન ત્રણેય કાનુનોને ગૃહ થકી પરત લઇ લેવામાં આવશે.
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે સુધારા માટે ત્રણ કાનુન લાવ્યા હતા કે જેથી નાના ખેડૂતોને બળ મળે વર્ષોથી માંગ હતી જ્યારે આ કાનુન લવાયો ત્યારે સંસદમાં ચર્ચા થઇ. ખેડૂતો, સંગઠનોએ તેને આવકાર્યો હું એ બધાનો આભારી છું. તેમણે કહ્યું હતું ખેડૂતોના કલ્યાણ માટે ગામ – ગરીબોના હીતમાં સારી ભાવનાથી તે લાવ્યા હતા પણ પવિત્ર બાબત અને ખેડૂતોને સમજાવી ન શકયા. કદાચ અમારી તપસ્યામાં કમી હતી. ભલે એક વર્ષ તેનો વિરોધ કર્યો, અમે વાતચીતનો પ્રયાસ કર્યો, મામલો સુપ્રિમ કોર્ટ સુધી પણ પહોંચ્યો પણ હવે અમે કૃષિ કાનુનને પરત લેવાનો નિર્ણય લીધો છે.
વધુમાં વડાપ્રધાને જણાવ્યુ હતું કે, આજે સરકારે કૃષિ ક્ષેત્રને લગતો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ઝીરો બજેટ ફાર્મિંગ એટલે કે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે, દેશની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે પાકની પેટર્નમાં ફેરફાર કરવા. એમએસપીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવા તમામ વિષયો પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજય સરકારો, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિઓ હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં ગુરૂનાનક જયંતિની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને પોતાના સંબોધનમાં ગુરૂનાનક દેવે કહેલ સેવા ભાવના અપનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ખેડૂતો વિશે પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોની સમસ્યા વિશે હું જાણું છું.
PM મોદીએ જણાવ્યું હતુ કે, અમારી સરકારે નાના ખેડૂતોની શકિત વધારવા માટે ઘણી પહેલ કરી છે. અમે પાક લોન પણ બમણી કરી છે.આજે કેન્દ્ર સરકારનું કૃષિ બજેટ અગાઉની સરખામણીમાં પાંચ ગણું વધ્યું છે. દર વર્ષે કૃષિ પર ૧.૨૫ લાખ કરોડથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, અમારી સરકારે પાક વીમા યોજનાને અસરકારક બનાવી. આ અંતર્ગત વધુને વધુ ખેડૂતોને લાભ મળી રહ્યો છે. અમે ઓલ્ડ ટેસ્ટામેન્ટ બન્યા. ખેડૂતોને ભૂતકાળમાં ચાર લાખ એક લાખ કરોડથી વધુનું વળતર મળ્યું છે. દેશના નાના ખેડૂતોના પડકારોને પહોંચી વળવા અમારી સરકારે બિયારણ, વીમો, બજાર અને બચત પર સર્વાંગી કામ કર્યું છે.
