ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતા દેશ-વિદેશના લાખો ભક્તોની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી 16 જુલાઈ એટલે કે અષાઢ સુદ બીજના દિવસથી મા અંબેની આરતી અને દર્શનના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે.યાત્રાળુઓ કોઈપણ જાતની અગવડતા વગર માતાજીના દર્શન કરી શકે તેવા ઉદ્દેશ્યથી ટ્રસ્ટ દ્વારા આ નવું સમયપત્રક અમલમાં મૂકવાની જાહેરાત કરાઈ છે.
નવા સમયપત્રક અનુસાર મંદિરમાં સવારની આરતી તેના નિયત સમયે એટલે કે 7 વાગ્યે શરૂ કરવામાં આવશે.અત્યાર સુધી બપોરના સમયે રાજભોગ ધરાવ્યા બાદ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેતું હતું પરંતુ હવે નવા નિર્ણય હેઠળ રાજભોગ બાદ બપોરે પણ ભક્તો માટે દર્શનની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે.આ ઉપરાંત દૂરદૂરથી આવતા પ્રવાસીઓ મોડી સાંજ સુધી દર્શનનો લાભ લઈ શકે તે માટે રાત્રે 9 વાગ્યા સુધી મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે.
અંબાજી મંદિરમાં આગામી 16 જુલાઈ ગુરૂવારથી સવારે 7 થી 8 વાગ્યા સુધી આરતી થશે અને ત્યારબાદ સવારે 8 થી 11.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે.બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવાશે.જે પછી બપોરે 12.30 થી 4.30 વાગ્યા સુધી દર્શનની બારીઓ ખુલ્લી રહેશે.જ્યારે સાંજના સમયે 7 થી 7.30 વાગ્યા સુધી આરતી આરંભાયા બાદ રાત્રે 7.30 થી 9.00 વાગ્યા સુધી ભક્તો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા ખુલ્લી રાખવામાં આવશે.આ નવી વ્યવસ્થાથી મંદિરમાં થતી ભીડનું યોગ્ય સંચાલન થશે અને યાત્રાળુઓ વધુ સમય સુધી શાંતિપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી શકશે
