ભારતીય હવામાન વિભાગે 9 મે 2026ના રોજ ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં કુદરતી આફતની ચેતવણી આપવામાં આવી છે. આગામી 24 કલાકમાં તેજ પવન, વીજળીના કડાકા અને ધોધમાર કમોસમી વરસાદની સંભાવનાને જોતા તંત્ર સતર્ક બન્યું છે. ખાસ કરીને પૂર્વાંચલ અને દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટા આવવાની આગાહીને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, 9 મેના રોજ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ખરાબ હવામાનની પ્રબળ શક્યતા છે. પૂર્વાંચલ અને તરાઈ પટ્ટાના જિલ્લાઓમાં પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે, જે વધીને 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ તેજ પવનની સાથે વીજળી પડવાનો પણ ભય હોવાથી વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અને સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ આપી છે.
ઉત્તર ભારત માટે રાહતના સમાચાર એ છે કે 10 મેથી એક નવો ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થઈ રહ્યો છે. તેની અસરને કારણે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 11 થી 14 મે દરમિયાન આંધી-તુફાન સાથે વરસાદી માહોલ જામશે. આ ફેરફારને કારણે છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી લોકોને મોટી રાહત મળશે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. ખેડૂતોને પણ આ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને તૈયાર પાકને સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ, દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા અને પ્રવાસીઓને સાવચેતી રાખવા જણાવાયું છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ 40-50 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કુદરતી આફત સામે સાવચેતી જ એકમાત્ર ઉપાય હોવાથી લોકોએ હવામાનની પળેપળની માહિતી મેળવતા રહેવું અત્યંત આવશ્યક છે
