વ્યારા વિધાન સભાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, ચાર કોર્પોરેટરો ૩૫૦ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા
લાયન્સ હાર્ટ ગૃપે સી.આર.પાટીલની રક્તતુલા કરી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખેસ પહેરાવી કાર્યકરોનો સ્વાગત કર્યુ
વ્યારા વિધાન સભા બેઠકનું કાર્યકર્તા સંમેલન વ્યારાનાં આમલિયા ગ્રાઉન્ડ ખાતે યોજાયુ હતુ. જેમાં કોંગ્રેસનાં ૪ કોર્પોરેટર અને લાયન્સ હાર્ટ ગૃપનાં અધ્યક્ષ રાજુ જાધવ આશરે ૩૫૦ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. તમામને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતુ. કોંગ્રેસની સાથે આપ અને બીટીએસનાં સમર્થકોએ પણ મોટી સંખ્યામાં ભાજપની કંઠી ધારણ કરી લેતાં રાજકારણ ગરમાયુ છે. હાલ ભાજપ શાસિત વ્યારા નગર પાલિકામાં માત્ર ૬ કોંગ્રેસનાં કોર્પોરેટરો હતાં. જેમાં વિરોધ પક્ષનાં નેતા સહિત ચાર કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતા શહેર કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. આ પ્રસંગે લાયન્સ હાર્ટ ગૃપનાં કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રક્તતુલા પણ કરી હતી.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકતાઓને સંબોધતા જણાવ્યુ હતુ કે “ન ભુતો, ન ભવિષ્યતિ” આજાદી પછી ભાજપ આજ દિન સુધી વ્યારા વિધાનસભાની બેઠક કબ્જે કરી શક્યુ નથી, પણ હવે કોઇ કોંગ્રેસી નહીં ચુંટાય, કાર્યકર્તાઓ કોંગ્રેસને સમય પર ઓળખી ગયા છે.
ભાજપમાં જોડાયા અને બેઠા તે બધાં યુવાનો છે. સમયસર તેઓએ જોડાવાનો નિર્ણય કર્યો છે, કોંગ્રેસ વિચારતી હતી કે તેનો ટાયટેનિક જહાજ ક્યારે પણ ડુબશે નહીં, પણ અડધું ડુબી ગયુ. નહીં જોડાય તેઓને જળ સમાધિ કરવાનો સમય આવશે. સનિષ્ઠ કાર્યકર્તાઓને ભાજપ તેમાંથી બહાર કાઢવા, સાચવવા મદદ માટે ઉભી છે. દિશાવિહિન કોંગ્રેસમાં ઉપર પપ્પુ અને નીચે લલ્લુ, ખબર નહીં પડે કોની આગળ ચાલવાનું છે. બે દિવસ પહેલાં આદિવાસી સમાજમાંથી આવેલ મહિલા દ્રોપદી મુર્મુને ગવર્નર અને હવે રાષ્ટપતિના ઉમેદવાર બનાવ્યા છે. નરેંદ્ર મોદી નક્કી કરે તેની જીત નક્કી હોય, સામાન્ય શિક્ષિકા, કોર્પોરેટર, મંત્રી, ગવર્નર અને આજે સીધા રાષ્ટપતિ માટેની દાવેદારી, કોંગ્રેસનાં સમયમાં આવો કોઇ મોકો આદિવાસીને મળ્યો નથી.
આદિવાસી મહિલા પહેલીવાર રાષ્ટપતિ બનવા જઈ રહી છે. કોંગ્રેસને ૭૦ વર્ષમાં પ્રધાનમંત્રી કે રાષ્ટપતિ બનાવવા માટે કોઇ આદિવાસી નેતા દેખાયો નથી. વધુમાં જણાવ્યુ હતુ કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા તમામ કોર્પોરેટરો, હોદ્દેદારોને તેના સમર્થકો સાથે ભાજપમાં તેમને યોગ્ય સ્થાન આપવામાં આવશે. જ્યાં અધિકાર હશે ત્યાં સ્થાન મળશે, તેની ખાત્રી આપી હતી. આ પ્રસંગે તાપી જિલ્લા પ્રભારી- મંત્રી મુકેશ પટેલ, ભાજપ જિલ્લા સંઘઠન પ્રભારી અશોક ધોરાજીયા, પ્રમુખ જયરામ ગામીત, સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય મોહન ઢોડિયા, પુર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા, તાપી જિ.પં. પ્રમુખ સુરજ વસાવા, પુર્વ મંત્રી કાંતી ગામીત સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બોક્ષ: વ્યારા નગર પાલિકામાં કુલ ૨૮ નગર સેવકો પૈકી ૨૨ સભ્યો ભાજપના હતા. જ્યારે ૦૬ સભ્યો કોંગ્રેસનાં હતા. વોર્ડ ન. ૫નાં કોર્પોરેટરોમાં દિલીપ જાદવ, દ્રષ્ટિ અનુમોલા, કિતાબેન ચોધરી, કિરણ ભોંય તેમજ વ્યારા નગર કોંગ્રેસનાં પુર્વ પ્રમુખ રાજેશ પટેલ તેમજ વ્યારા શહેર યુવા મહામંત્રી અભિષેક ભદોરીયા, કોંગ્રેસ આગેવાન મઝહર કાઝી, તાપી જિલ્લા એનએસયુઆઇ ઉપપ્રમુખ બાસિત સૈયદ સહિત ૩૫૦થી વધુ કાર્યકતાઓએ ભાજપની ખેસ પહેરી હતી.
૪૦૦થી વધુ બોટલોનું રક્તદાન કરી સી.આર.પાટીલની ૯૫ લિટર રક્ત સાથે રક્તતુલા
વ્યારામાં વર્ષોથી સેવાકિય કાર્ય કરતી લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવ અને તેઓની ટીમ દ્વારા ૪૦૦ થી વધુ બોટલોનું રક્તદાન કરી સી.આર.પાટીલની ૯૫ લિટર રક્ત સાથે રક્તતુલા કરવામાં આવી હતી.

