કાલથી એક મહિના માટે પૂજય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો સાંજથી પ્રારંભ થયો છે, સાંજે બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજય મહંત સ્વામી તેમજ અન્ય વડીલ સંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહયા હતા. તેમજ દેશ વિદેશના હરિભક્તો અને ગુજરાતના હરિભક્તો પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિશાળ સંખ્યામાં બીએપીએસના અનુયાયીઓ પણ આ મહોત્સવમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા છે ત્યારે આજે આયોજિત થનારી સભા માટે પ્રવેશ મેળવી લેવા માટે હરિભક્તોને વિશેષ સૂચના પણ આપવામાં આવી છે. જે હરિભક્તો આજની સભામાં હાજર રહેવાના છે તેઓએ ચાર વાગ્યા પહેલા જ સભા સ્થળે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવાનું છે. તેથી શિસ્ત અને સુરક્ષાની પરિસ્થિતિ જળવાયેલી રહે. સભામાં પ્રવેશ કરતા હરિભક્તોને પ્રવેશ સ્થળે જ ફૂડ પેકેટ પણ આપી દેવામાં આવશે તેમજ સાંજે સભાનું સમાપન ૮-૩૦ થી ૯ વાગ્યા દરમિયાન થશે. ઉદ્ધાટન સભામાં યુવાનો અને બાળકો તેમજ સંત વૃંદ દ્વારા ભાગવાન સ્વામિનારાણ તેમજ પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્ય અંગે વિશેષ પ્રસ્તુતિઓ કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. એક મહિના સુધી મહોત્સવનું સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજનગર’ અનેકવિધ કાર્યક્રમોથી ગુંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ-અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર રહેશે.
પ્રમુખસ્વામી પ્રતિમા
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખસ્વામીની લગભગ સો જેટલી પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે ! અલગ-અલગ સ્થાન પર મૂકાયેલી આ પ્રતિમાઓ મહોત્સવમાં આવનારાઓને પ્રેરણા પ્રદાન કરશે. મહોત્સવ સ્થળના કેન્દ્રમાં ૪૦ ફૂટ પહોળી અને ૧૫ ફૂટ ઊંચી પીઠિકા તૈયાર કરવામાં આવી છે. અને તે પીઠિકા પર પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે.
ગ્લો ગાર્ડન
ઉત્સવમાં એવાં અનેક મોન્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે, કે જેના પરથી નજરો હટવાનું નામ જ ન લે. આ નગરના દરેક સર્જન સાથે કોઈને કોઈ સંદેશો જોડાયેલો છે. જે તેના સાનિધ્યે આવનારને એક નવી જ દિશા આપશે. જેમાં ખાસ ઉલ્લેખ કરવો પડે ગ્લો ગાર્ડનનો. ગ્લો ગાર્ડન અર્થાત્ પ્રમુખ જયોતિ ઉદ્યાન. પ્રકાશથી ઝગમગતા આ ઉદ્યાનની શોભા એટલી અદ્વિતીય ભાસે છે કે અબાલ વૃદ્ધ સૌ કોઈ તેના પ્રત્યે આકર્ષાયા વિના રહી જ નહીં શકે ! ગ્લો ગાર્ડન લગભગ ૧૦ એકર વિસ્તારમાં ફેલાયેલો છે. BAPSના સંતોના માર્ગદર્શન હેઠળ ૨૧૦૦ જેટલાં સ્વયંસેવકોએ આ ગ્લો ગાર્ડન તૈયાર કર્યો છે ! આ ગ્લો ગાર્ડનમાં ૮,૦૦૦ થી વધુ પુષ્પ ઝગમગી રહ્યા છે. તો ૧૫૦ સંદેશાઓ સાથેની પશુ-પક્ષીઓની પ્રકાશિત પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે ! વાસ્તવમાં ઉદ્યાનની આ જયોતિ તેના સંદેશા દ્વારા લોકોની આંતરિક ચેતનાને ઉજાગર કરવાનું કાર્ય કરશે.
બાળ નગરી
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ભાગ રૂપે અહીં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પણ, આ પ્રેરણાત્મક નગરનું મુખ્ય આકર્ષણ તો છે બાળ નગરી ! બાળ નગરી એટલે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અને બાળકો દ્વારા જ સંચાલિત નગરી ! આ બાળ નગરીમાં અનેકવિધ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જંગલ ઓફ શેરુ, સી ઓફ સુવર્ણા, બાળસ્નેહી ઉદ્યાન, બુઝો ગામ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ડોમમાં બાળકોને પ્રેરણાત્મક સંદેશાઓ આપવામાં આવશે.
લાઈટ એન્ડ સાઉન્ડ શોᅠ
મહોત્સવનો લાઈટ એન્ડ સાઉન્ડ શો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને તેવી શક્યતા છે ! લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે ૧૮૦ ફૂટ પહોળો મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આ મંચ પરથી ૩૦૦ થી વધુ બાળકો, યુવકો પ્રસ્તુતિ કરી શકશે. ૨૦,૦૦૦ થી વધુ પ્રેક્ષકો ખુલ્લા સભાગારમાં બેસી કાર્યક્રમને માણી શકશે.
વિવિધ કાર્યક્રમનું આયોજન
આ ઉપરાંત ‘ટૂટે હૃદય, ટૂટે ઘર’ દ્વારા પારિવારિક સંવાદિતા સાધવાનો પ્રયત્ન કરાશે. ‘ચલો, તોડ દો યે બંધન’ ખંડમાં લોકોને વ્યસનમુક્તિની પ્રેરણા અપાશે. તો, ‘નારી ઉત્કર્ષ મંડપમ્’માં દેશ-વિદેશની પ્રસિદ્ધ મહિલાઓના વિદ્વતાસભર સંબોધનનો લોકોને લાભ અપાશે.
કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા
* ૧૪ ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ
* ૧૫ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન ઉદ્ઘાટન થશે
* ૧૬ ડિસેમ્બરે સંસ્કૃતિ દિન, ૧૭ ડિસેમ્બરે પરાભક્તિ દિન
* ૧૮ ડિસેમ્બરે મંદિર ગૌરવ દિન
* ૧૯ ડિસેમ્બરે ગુરુભક્તિ દિન
* ૨૦ ડિસેમ્બરે સંવાદિતા દિન
* ૨૧ ડિસેમ્બરે સમરસતા દિન
* ૨૨ ડિસેમ્બરે આદિવાસી ગૌરવ દિન
* ૨૩ ડિસેમ્બર અધ્યાત્મ અને આરોગ્ય દિન
* ૨૪ ડિસેમ્બરે વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિન
* ૨૫ ડિસેમ્બરે રાષ્ટ્રીય સંમેલન
* ૨૬ ડિસેમ્બર સ્વામિનારાયણીય સંત સાહિત્ય લોકસાહિત્ય દિન
* ૨૭ ડિસેમ્બરે વિચરણ સ્મૃતિદિન
* ૨૮ ડિસેમ્બરે સેવા દિન
* ૨૯ ડિસેમ્બરે પારિવારિક એકતા દિન
* ૩૦ ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન
* ૩૧ ડિસેમ્બરે દર્શન શાસ્ત્ર દિન
* ૧ જાન્યુઆરીએ બાળ યુવા કીર્તન આરાધના
* ૨ જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન
* ૩ જાન્યુઆરીએ યુવા સંસ્કાર દિન
* ૪ જાન્યુઆરીએ ગુજરાત ગૌરવ દિન
* ૫ જાન્યુઆરીએ મહિલા દિન-૧
* ૬ જાન્યુઆરીએ બીએપીએસ અખાતી દેશ દિન
* ૭ જાન્યુઆરીએ બીએપીએસ નોર્થ અમેરિકા દિન
* ૮ જાન્યુઆરીએ બીએપીએસ યુકે-યુરોપ દિન
* ૯ જાન્યુઆરીએ બીએપીએસ આફ્રિકા દિન
* ૧૦ જાન્યુઆરીએ મહિલા દિન-
* ૧૧ જાન્યુઆરીએ બીએપીએસ એશિયા પેસિફિક દિન
* ૧૨ જાન્યુઆરીએ અક્ષરધામ દિન
* ૧૩ જાન્યુઆરી સંત કીર્તન આરાધના
* ૧૫ જાન્યુઆરીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાશે

