કોરોના મહામારી બાદ હવે દેશભરમાં નવા વાયરસ H3N2ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી વિવિધ રાજ્યની સાથે ગુજરાત સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક કરી હોસ્પિટલમાં વધારાના વોર્ડ, ડોક્ટર્સ, સ્ટાફ, જરૂરી દવાઓ, ટેસ્ટિંગ લેબ સહિત અન્ય સુવિધાઓ અંગે સમીક્ષા કરી હતી. જણાવી દઈએ કે, H3N2 વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં શરદી, ખાંસી, તાવ, ગળાની તકલીફો, કળતર, ઊલટી અને ડાયરિયા જેવાં લક્ષણો જોવા મળે છે.
ગુજરાતમાં હાલ H3N2ના 3 કેસ, H1N1ના કુલ 78 કેસ
માહિતી મુજબ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે બેઠક કરી નવા વાયરસ H3N2 અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે ICMRની ગાઈડલાઈન પ્રમાણે પગલા લેવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ H3N2ના 3 કેસ મળ્યા છે, જ્યારે H1N1ના કુલ 78 કેસો સામે આવ્યા છે અને એક દર્દીનું મોત થયું છે. આ સાથે તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં વાયરલ ફીવરના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. સાથે જ ફ્લૂના કેસો પણ વધ્યા છે. સામાન્ય ફ્લૂમાં દવાઓથી રિકવરી આવતી હોય છે, પરંતુ થર્ડ સ્ટેજના ફ્લૂમાં વાયરસ ફેફસાં સુધી પહોંચી જતો હોય છે. આથી જરૂરી દવાઓ અંગે સમીક્ષા કરાઈ છે.
‘ભયનું માહોલ ઊભું કરવા કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે’
તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં વેન્ટિલેટર, ઑક્સિજન અને PPE કીટની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ છે. અમદાવાદની સિવિલમાં 300થી 400 દર્દીઓનો વધારો થયો છે. જોકે ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કેટલાક લોકો દ્વારા વારંવાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ, ગભરાવવાની જરૂર નથી સરકાર દ્વારા પૂરતા પ્રયાસ અને તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લખનીય છે કે, દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાનું જોખમ વધી રહ્યું છે. શુક્રવારે આ વાયરસથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ હતી. કર્ણાટક અને હરિયાણામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
