અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અદભુત ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના આ મંગલ ઉત્સવ પૂર્વે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરે પરંપરાગત નેત્રોત્સવ વિધિ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
આ ધાર્મિક મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કર્યું હતું અને ભગવાન જગન્નાથજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મનોકામના કરી હતી. આ પ્રસંગે ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા.
