ગોવાના ઉત્તરીય વિસ્તારના અરપોરા ગામમાં એક નાઇટ ક્લબમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 25 લોકોના કરૂણ મોત થયાની દુઃખદ ઘટના બની છે, આ ઘટનામાં દિલ્હીથી ગોવા આવેલા એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. આ યુવકનું નામ અવનીશ છે, અને તેના કિસ્સામાં ‘રામ રાખે તેને કોણ ચાખે!’ કહેવત સાર્થક ઠરી છે.
અવનીશે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ પણ આ જ નાઇટક્લબમાં જ જવાના હતા, પરંતુ તેમની કેબ મોડી પડવાને કારણે તેઓ થોડા સમય પછી સ્થળ પર પહોંચ્યા. જો કેબ સમયસર આવી હોત, તો તેઓ પણ આગની લપેટમાં આવી ગયા હોત.
અવનીશે પોતાની ભયાનક અનુભૂતિ વ્યક્ત કરતા કહ્યું, “જ્યારે અમે ત્યાં પહોંચ્યા, ત્યારે ચારે તરફ માત્ર ધુમાડો જ ધુમાડો હતો. અમને પહેલા તો પ્રદૂષણ હોય તેવું લાગ્યું, કારણ કે દિલ્હીમાં અમને તેની આદત છે, પણ પછી ખબર પડી કે આ તો ભીષણ આગ છે.” આ ક્લબમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે હાજર લોકોને બચવાનો સમય પણ મળ્યો નહોતો.
પોલીસના જણાવ્યા મુજબ, મૃત્યુ પામેલાઓમાં ચાર પ્રવાસીઓ અને ક્લબના 14 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ અગ્નિકાંડમાં ઘાયલ થયેલા અન્ય છ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
આ દુર્ઘટનાના ગંભીર પરિણામોને ધ્યાનમાં રાખીને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ પરિસ્થિતિની નજીકથી સમીક્ષા કરી રહ્યા છે અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, “આ સમગ્ર ઘટનાના કારણોની તપાસ કરવા અને જવાબદારી નક્કી કરવા માટે મેં મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.” આ ઘટનાએ જાહેર સ્થળો, ખાસ કરીને નાઇટક્લબ્સમાં સુરક્ષા વ્યવસ્થા અને ફાયર સેફ્ટીની ગંભીર ખામીઓ તરફ ધ્યાન દોર્યું છે, જેના કારણે બેદરકારીભરી જાનહાનિ થઈ છે.

આગ લાગવાના ચોક્કસ કારણોની જાણ હજુ સુધી થઈ શકી નથી, પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઘટનાના કારણો જાણવા માટે સઘન તપાસ કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે કિચન વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ લાગી હતી અને ધુમાડો બેઝમેન્ટમાં ફેલાતા સૌથી વધુ મૃત્યુ થયા હતા. આ કરૂણ ઘટનાએ ગોવાના પર્યટન ઉદ્યોગ અને જાહેર સુરક્ષાના નિયમોના પાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, અને મેજિસ્ટ્રેટ તપાસમાં ક્લબ મેનેજમેન્ટની બેદરકારી અંગેની હકીકતો સામે આવે તેવી શક્યતા છે.
