દેશમાં કાલે પહેલી એપ્રિલથી શરૂ થનારું નવું નાણાકીય વર્ષ ફક્ત કેલેન્ડરમાં જ નહીં પણ લોકોના નાણાકીય અને બેન્કિંગ આદતમાં પણ નોંધપાત્ર ફેરફારો લાવશે. આ વખતે સરકાર અને રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI) ઘણા નિયમો લાગુ કરી રહી છે જે સેલેરી-સ્લિપથી લઈને તમારા કિચનના બજેટ સુધીની દરેક વસ્તુ પર સીધી અસર કરશે.
સૌથી મોટો ફેરફાર ‘નવા આવકવેરા કાયદા ૨૦૨૫’ના રૂપમાં આવી રહ્યો છે જે દાયકાઓ જૂના ૧૯૬૧ના કાયદાને બદલશે. નવા લેબર-કોડ હેઠળ કંપનીઓએ હવે કર્મચારીનો મૂળ પગાર તેના કુલ CTC (કોસ્ટ ટુ કંપની)ના ઓછામાં ઓછા ૫૦ ટકા રાખવો પડશે. આનો અર્થ એ છે કે પ્રોવિડન્ટ ફન્ડ (PF) અને ગ્રેચ્યુઇટી-યોગદાનમાં વધારો થશે. આનાથી રિટાયરમેન્ટ બચતમાં વધારો થશે, જ્યારે માસિક ટેક-હોમ પગારમાં ઘટાડો થઈ શકે છે. જૂની ટેક્સ-પ્રણાલી હેઠળના લોકો માટે હાઉસ રેન્ટ અલાવન્સ (HRA) મુક્તિ માટેના નિયમો વધુ કડક બન્યા છે. હવે જો તમે વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવો છો તો તમારે નવા ફોર્મ ૧૨૪માં મકાનમાલિકનું PAN કાર્ડ અને તેઓ તમારા સંબંધી છે કે નહીં એની જાણકારી આપવી પડશે.
ટૂ-ફેક્ટર ઑથેન્ટિકેશનઃ હવે ઑનલાઇન પેમેન્ટ માટે ફક્ત વન-ટાઇમ પાસવર્ડ (OTP) પૂરતો રહેશે નહીં. સુરક્ષાનું બીજું સ્તર જેમ કે PIN, બાયોમેટ્રિક (ફિગરપ્રિન્ટ) અથવા ડિવાઇસ વેરિફિકેશન ફરજિયાત રહેશે.
ATM ટ્રાન્ઝેક્શન ચાર્જઃ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)નો ઉપયોગ કરીને ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી ઉપાડવામાં આવેલી રોકડ પણ તમારી મફત વ્યવહાર લિમિટમાં ગણાશે. લિમિટ પૂરી થયા બાદ દર વખતે આશરે ૨૩ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવી શકે છે.
PNB કેશ લિમિટઃ પંજાબ નેશનલ બેન્કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને દૈનિક રોકડ ઉપાડમર્યાદા ૫૦,૦૦૦થી વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરી છે.
PAN કાર્ડ માટે સખત નિયમોઃ નવું પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN) કાર્ડ મેળવવા અથવા સુધારા કરવા માટે હવે ફક્ત આધાર કાર્ડ પૂરતું રહેશે નહીં; વધારાના સપોર્ટિગ દસ્તાવેજો આપવાના ફરજિયાત રહેશે.
ક્રેડિટ કાર્ડ-ટેક્સઃ હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને આવકવેરા ચૂકવી શકાશે. જોકે એના માટે વધારાની પ્રોસેસિગ ફી લાગુ થઈ શકે છે.
મોટા ખર્ચની જાણ કરવી : એક વર્ષમાં ૧૦ લાખ રૂપિયાથી વધુનું કોઈ પણ ક્રેડિટ કાર્ડ-બિલ અથવા એક લાખ રૂપિયાથી વધુની રોકડ-ચુકવણીની જાણ સીધી આવકવેરા વિભાગને કરવામાં આવશે.
કોર્પોરેટ કાર્ડ્સઃ જો કોઈ કંપનીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વ્યક્તિગત હેતુ માટે કરવામાં આવશે તો એને બેનિફિટ ગણવામાં આવશે અને એના પર ટેક્સ વસૂલવામાં આવશે.
LPGના ભાવ : દર મહિનાની પહેલી તારીખની જેમ ડોમેસ્ટિક અને કમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવની એક એપ્રિલે સમીક્ષા કરવામાં આવશે.
૨૦ ટકા એથનોલ પેટ્રોલ (E20) દેશભરમાં પેટ્રોલમાં ૨૦ ટકા એથનોલ ભેળવવું ફરજિયાત રહેશે. આનાથી પ્રદૂષણ ઘટશે, પરંતુ જૂનાં વાહનોમાં ઈંધણના માઇલેજમાં ત્રણથી ૭ ટકા ઘટાડો થઈ શકે છે.
