અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ ૧૯૯૨માં વટવા વિસ્તારમાં થયેલી એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલીને કાયદો અને વ્યવસ્થાના ઇતિહાસમાં એક મોટી સફળતા મેળવી છે. ૩૪ વર્ષ પહેલાં આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધમાં પોલીસે મૃતક મહિલાના પતિ અને તેના જેઠની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવતીની કરપીણ હત્યા કર્યા બાદ પુરાવા મિટાવવા માટે તેની લાશને ઘરના જ ખાળકૂવામાં દાટી દીધી હતી અને ઉપર પ્લાસ્ટર કરાવી દીધું હતું.
શું હતી સમગ્ર ઘટના?
મૃતક મહિલાનું નામ ફરજાના હતું અને તે મૂળ ધોળકાની રહેવાસી હતી. લગ્નજીવનમાં ભંગાણ પડ્યા બાદ તે દેહવ્યાપારના વ્યવસાય સાથે જોડાઈ હતી, જેના કારણે તેના પરિવારે તેનાથી સંબંધ તોડી નાખ્યા હતા. બાદમાં તે અમદાવાદ આવી અને સમસુદ્દીન ખેડાવાળા સાથે લગ્ન કર્યા. જોકે, લગ્ન પછી પણ ફરજાનાએ તેની જૂની પ્રવૃત્તિઓ ચાલુ રાખતા સમસુદ્દીન કંટાળી ગયો હતો. આથી, તેણે પોતાના મોટા ભાઈ ઈકબાલ અને મિત્ર અબ્દુલ કરીમ સાથે મળીને ફરજાનાને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું.
૨૦ ફૂટ ઊંડા ખાડામાં દફનાવી દીધું સત્ય
આરોપીઓએ સુનિયોજિત રીતે સાલિયા બીબીના ઘરે રોકાવા ગયા હતા, જ્યાં અગાઉથી જ ખાળકૂવા માટે ખાડો ખોદી રાખવામાં આવ્યો હતો. રાત્રે જ્યારે ફરજાના સૂઈ ગઈ ત્યારે આ નરાધમોએ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી અને લાશને ૨૦ ફૂટ ઊંડા ખાડામાં દફનાવી દીધી હતી. કોઈને શંકા ન જાય તે માટે તેની ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવ્યું હતું. આ રહસ્ય ૩૪ વર્ષ સુધી ધરબાયેલું રહ્યું હતું.
DNA રિપોર્ટે ખોલી હત્યારાઓની પોલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સ અને જૂના રેકોર્ડ્સના આધારે આ વણઉકેલાયેલા કેસની તપાસ ફરી શરૂ કરી હતી. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને FSL ની હાજરીમાં મકાનમાં ખોદકામ કરાવતા ૨૦ ફૂટ ઊંડેથી માનવ કંકાલ મળી આવ્યું હતું. આ કંકાલના DNA મૃતક ફરજાનાના ભાઈના DNA સાથે મેચ થતા આખરે સત્ય બહાર આવ્યું હતું.
આરોપીઓની ધરપકડ અને કાર્યવાહી
ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી સમસુદ્દીન ખેડાવાળા અને તેના મોટા ભાઈ ઇકબાલ ખેડાવાળાની જમાલપુર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ, સાલિયા બીબી અને અબ્દુલ કરીમનું અગાઉ મૃત્યુ થઈ ચૂક્યું છે. એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે વર્ષો સુધી રહસ્ય છુપાવી રાખનારા આરોપીઓ આખરે કાયદાના સકંજામાં આવી ગયા છે.
