ભારત હવે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે ‘ગ્રીન ફ્યુઅલ’ તરફ એક મોટું ડગલું ભરી રહ્યું છે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ૨૨% થી લઈને ૩૦% સુધી ઇથેનોલ ભેળવવાની તકનીકી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) બંધ હોવાને કારણે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં જે અવરોધો ઉભા થયા છે, તેના કાયમી ઉકેલ તરીકે સરકાર આ યોજના પર ઝડપથી કામ કરી રહી છે.
ભારતીય માનક બ્યુરો (BIS) એ ૧૮ મેના રોજ એક જાહેરનામું બહાર પાડીને E22, E25, E27 અને E30 ઇંધણ મિશ્રણો માટેના નવા ધોરણો નિર્ધારિત કર્યા છે, જે આગામી ૧૫ મે, ૨૦૨૬ થી અમલી બનશે.
આ નવા નિયમો હેઠળ, ઓટોમોબાઇલ કંપનીઓએ હવે એવા એન્જિન તૈયાર કરવા પડશે જે ઉચ્ચ ઇથેનોલ મિશ્રણ પર કાર્યક્ષમ રીતે ચાલી શકે. આ માટે બળતણની ગુણવત્તા, ઓક્ટેન લેવલ અને કાટ સંરક્ષણ જેવા પાસાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
ઇથેનોલ મિશ્રણ વધવાથી માત્ર તેલની આયાત પાછળ ખર્ચાતા અબજો રૂપિયાની બચત જ નહીં થાય, પરંતુ તેનાથી પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો જોવા મળશે. હાલમાં દેશમાં E20 (૨૦% ઇથેનોલ) મિશ્રણ લાગુ છે, પરંતુ ભવિષ્ય હવે ‘ફ્લેક્સ-ફ્યુઅલ’ વાહનોનું છે જે ૩૦% ઇથેનોલ પર પણ અટક્યા વગર દોડશે.
ઇથેનોલ ઉદ્યોગ માટે આ સમાચાર એક ‘બૂસ્ટર ડોઝ’ સમાન છે. દેશની ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા હાલમાં ૨ અબજ લિટર સુધી પહોંચી ગઈ છે, જેનો હવે પૂર્ણ ઉપયોગ થઈ શકશે. આનાથી ખેડૂતોને પણ મોટો ફાયદો થશે, કારણ કે ઇથેનોલ મુખ્યત્વે શેરડી અને બગડેલા અનાજમાંથી બનાવવામાં આવે છે. આમ, ખેતીથી લઈને વાહન સુધીની આ આખી સાંકળ મજબૂત બનશે અને ભારત વૈશ્વિક સ્તરે સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં અગ્રેસર બનશે. ઉદ્યોગ જગત માને છે કે આ પગલાથી ભારતની ‘ક્લીન મોબિલિટી’ ઝુંબેશને નવી પાંખો મળશે.
