May 21, 2026
ગુજરાત

કાલુપુર બ્રિજ બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્ય માટે 22 મે થી 25 મે સુધી રાત્રે વાહન વ્યવહાર માટે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે મુસાફરોએ ખાસ નોંધ લેવી જરૂરી છે. અમદાવાદના જાણીતા કાલુપુર બ્રિજ પર આગામી દિવસોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે વાહન ચાલકો માટે આ બ્રિજ રાત્રિના સમયે બંધ રહેશે.

બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્ય માટે 22 મે થી 25 મે સુધી આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. આ પ્રતિબંધનો સમયગાળો રાત્રે 12:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધીનો રહેશે. એટલે કે, કુલ 4 દિવસ સુધી માત્ર રાત્રિના સમયગાળા દરમિયાન જ વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવશે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કાલુપુર વિસ્તારમાં જ્યાંથી બુલેટ ટ્રેનનો કોરિડોર પસાર થાય છે, ત્યાં હવે મુખ્ય કામગીરી એટલે કે સેગમેન્ટ ચઢાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેથી રાત્રિના સમયે બ્રિજ બંધ રહેશે.

રાત્રિના સમયે જે મુસાફરો કાલુપુર બ્રિજનો ઉપયોગ કરીને મુસાફરી કરે છે, તેમને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. નિર્ધારિત સમય દરમિયાન બ્રિજ પર કામગીરી ચાલુ હોવાથી વાહન ચાલકોએ ટ્રાફિક જામથી બચવા માટે અગાઉથી જ પોતાના રૂટનું આયોજન કરી લેવું જોઈએ. તંત્ર દ્વારા વાહન ચાલકોને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે.

 

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ :

કાલુપુર સર્કલ બ્રિજના છેડેથી કાલુપુર બ્રિજ ઉપર આવેલા નાના સર્કલ સુધીનો આશરે ૫૦૦ મીટરનો રોડ તા.૨૨/૫/૨૦૨૬ થી તા.૨૫/૫/૨૦૨૬ સુધીના ફક્ત રાત્રી કલાક ૦૦,૦૦ થી ૦૬.૦૦ સુધી બંધ રહેશે.

 

વૈકલ્પિક માર્ગ :

નરોડા રોડ તથા સરસપુર તરફથી આવતા ટ્રાફિકને કાલુપુર સર્કલ તરફ જવા માટે સરસપુર સર્કલથી નૂતન મિલ રોડ થઈ વોરાના રોજા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી ડૉ.આંબેડકર ફલાય ઓવર (ચામુંડા બ્રિજ) થઈ અસારવા સિવિલ હોસ્પિટલ રોડથી રચના સ્કૂલ રોડ થઈ ગિરધરનગર ચાર રસ્તાથી બાબુ જગજીવનરામ બ્રિજ ઉપર થઈ ઈદગાહ રોડ થઈ કાલુપુર સર્કલ તરફ જઈ શકશે.

 

રખિયાલ-ગોમતીપુર તરફથી કાલુપુર બ્રિજ પર આવતા ટ્રાફિકને કાલુપુર સર્કલ તરફ જવા માટે સરસપુર સર્કલથી ગુરુદ્વારા રોડ થઈ ચારતોડા કબ્રસ્તાન રોડ થઈ ડાબી બાજુ વળી રખિયાલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી મુર્ગા સર્કલ ચાર રસ્તાથી એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન થઈ અનુપમ સિનેમા રોડ થઈ અનુપમ બ્રિજથી કાંકરિયા રોડ થઈ સારંગપુર સર્કલ થઈ કાલુપુર સર્કલ તરફ જઈ શકશે.

 

રિલીફ રોડ તથા દિલ્હી દરવાજાથી આવતા ટ્રાફિકને નરોડા રોડ અને સરસપુર તરફ જવા માટે કાલુપુર સર્કલથી ફ્રુટ માર્કેટ થઈ પાંચકુવા થઈ ઈદગાહ રોડ થઈ બાબુ જગજીવનરામ બ્રિજ ઉપર થઈ ગિરધરનગર ચાર રસ્તાથી જમણી બાજુ વળી રચના સ્કૂલ રોડ થઈ અસારવા સિવિલ હોસ્પિટલ રોડ થઈ મોહન સિનેમા ચાર રસ્તા થઈ ચમનપુરા ચાર રસ્તા થઈ આંબેડકર બ્રિજ ઉપર થઈ નરોડા રોડ તથા સરસપુર તરફ જઈ શકશે.

 

આસ્ટોડિયા-રાયપુર તરફથી આવતા ટ્રાફિકને રખિયાલ તરફ જવા માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઈ વાણિજ્ય ભવન થઈ કાંકરિયા રોડ થઈ અનુપમ બ્રિજ ઉપર થઈ અનુપમ સિનેમાથી ડાબી બાજુ વળી એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન થઈ સુખરામ ચાર રસ્તા થઈ મુર્ગા સર્કલ ચાર રસ્તાથી રખિયાલ તરફ જઈ શકશે.

નરોડા જી.સી.એસ. હોસ્પિટલ રોડ તરફથી આવતો ટ્રાફિક સરસપુર તથા ગોમતીપુર જવા માટે કાલુપુર બ્રિજ ઉપરથી જઈ શકશે. તે જ રીતે સરસપુર-ગોમતીપુર તરફથી આવતા ટ્રાફિકને નરોડા રોડ ઉપર જવા માટે કાલુપુર બ્રિજ ઉપરથી જઈ શકશે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે વડોદરામાં રોડ શો કર્યો

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

જુહાપુરામાં વહેલી સવારે આગ લાગતા ૧પ દુકાનોમાં ભારે નુકશાન

Ahmedabad Samay

સરકાર તરફથી રેમડેસીવીર ન મળતા, કાળા બજારીયા સક્રિય, ઇસનપુર થી એક શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

આ સાત બેદરકારીના કારણે કોરોનાએ રોકેટ ગતિ પકડી, નેતાઓની મોટી બેદરકારી દેખાઇ

Ahmedabad Samay

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો