ગુજરાતના ખાણીપીણીના વેપારીઓની સૌથી મોટી સંસ્થા આહાર મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગઈકાલે અમદાવાદ લલિત પેલેસ, શાહીબાગ ખાતે વેપારીઓના ઉત્કર્ષ, કલ્યાણ અને પ્રશ્નોના નિરાકરણ માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય હેલ્થ ઓફિસર ડો. તેજસભાઈ શાહ, AMC હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીના ચેરમેન શ્રી દીપકભાઈ પંચાલ, ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય અને આહારના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ પુરોહિત ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત શહેરના મોટી બ્રાન્ડના આગેવાનો અને સેંકડોની સંખ્યામાં ખાણીપીણીના વેપારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને સૂચનો:
1. ગુણવત્તા અને સ્વચ્છતા પર ભાર:
હેલ્થ કમિટીના ચેરમેન શ્રી દીપકભાઈ પંચાલે વેપારીઓને સંબોધતા જણાવ્યું કે, “આપ સૌ સારી ક્વોલિટી અને સ્વચ્છ વાતાવરણમાં ઉત્પાદન કરો અને લોકોને મિલાવટ વિનાનો ખોરાક પીરસો. _કોર્પોરેશન હંમેશા સાચા વેપારીઓ સાથે છે._ આગામી સમયમાં કોમનવેલ્થ જેવા આંતરરાષ્ટ્રીય આયોજનોના કારણે અમદાવાદમાં વેપારની અપાર તકો છે. આપણે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકીએ તેવી ગુણવત્તા જાળવવી જરૂરી છે.”
2. ભેળસેળ વિરુદ્ધ કડક કાર્યવાહી:
AMC ના મુખ્ય હેલ્થ ઓફિસર ડો. તેજસભાઈ શાહે જણાવ્યું કે, “અમોને વેપારીઓ વિરુદ્ધ અનેક ફરિયાદો મળે છે. ખોટા કરનારાઓને દંડિત કરવામાં આવશે જ્યારે સાચા વેપારીઓને કોઈ તકલીફ પડવા દેવામાં નહીં આવે. આગામી તહેવારોમાં ભેળસેળ વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે.”
3. વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ:
આહારના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતે જણાવ્યું કે, “બજારમાં ફરતા ખોટા તત્વોથી કોઈ વેપારીએ ગભરાવાની જરૂર નથી. આપણે સૌ પરંપરાગત અને આરોગ્યપ્રદ ખાણીપીણી બનાવીને લોકોની સુખાકારી માટે કામ કરીએ. તહેવારોમાં માંડવા તાણીને અખાદ્ય વસ્તુઓ વેચતા તત્વોને રોકવા માટે મ્યુનિસિપલ તંત્રને રજૂઆત કરવામાં આવી છે.”
બેઠકમાં વેપારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેને અધિકારીઓએ ધ્યાનપૂર્વક સાંભળીને તાત્કાલિક નિરાકરણ માટે વિશ્વાસ આપ્યો હતો.
19 સપ્ટેમ્બરના રોજ વિરાટ સેમિનારનું આયોજન
બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ સપ્તાહ નિમિત્તે તા. 19 સપ્ટેમ્બર 2025 ના રોજ આહાર દ્વારા આયોજિત વિરાટ સેમિનાર અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી, આરોગ્ય સચિવ શ્રી સહિત રાજ્યના દિગ્ગજ નેતાઓ અને ગુજરાતભરના અગ્રણી ખાણીપીણીના વેપારીઓ આમંત્રિત કરવામાં આવ્યા છે
આ કાર્યક્રમમાં વધુમાં વધુ વેપારીઓ જોડાય અને આહારના સભ્ય બને તે માટે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો.બેઠકને સફળ બનાવવામાં માટે શ્રી તુષારભાઈ પરિહાર, શ્રી જિગ્નેશભાઈ લોધા, શ્રી નયનભાઈ કંદોઈ, શ્રી શૈલેષભાઈ નાગર નો વિશેષ સહયોગ રહ્યો હતો.
