ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ દેશ માત્ર આર્થિક તબાહીનો સામનો કરી રહ્યો નથી, પરંતુ તેને રાજકીય રીતે પણ લકવાગ્રસ્ત કરી દીધો છે અને આતંકવાદીઓના તાજેતરના હુમલાએ દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ કરી દીધી છે. ગૃહયુદ્ધના આરે આવીને ઉભેલા પાકિસ્તાનના લોકો હવે મોંઘવારી બાદ શાહબાઝ સરકારના નવા ટેક્સથી પરેશાન છે. ખાદ્યપદાર્થોના ભાવ પણ સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ ગયા છે અને હવે સ્મશાનમાં પણ ટેક્સ લોકોનો પીછો છોડતો નથી.
સોમવારે બંધ રહ્યું આખું પાકિસ્તાન
પાકિસ્તાનમાં સોમવારે કરાચી, લાહોર, ઈસ્લામાબાદ રાવલપિંડી, પેશાવર સહિત પાકિસ્તાનના તમામ શહેરોમાં બજારો અને દુકાનો બંધ રહી હતી. આ તાળાબંધી બેફામ મોંઘવારીના વિરોધમાં કરવામાં આવી હતી, દુકાનદારોએ જાતે જ પોતાની દુકાનો બંધ કરી દીધી. મોટી વાત એ છે કે કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબ્બેકે આ બંધનું એલાન આપ્યું હતું અને તેની સામે શાહબાઝ સરકાર સંપૂર્ણપણે આત્મસમર્પણ કરતી દેખાઈ. શાહબાઝ સરકાર સવારથી રાત સુધી લોકો પાસેથી જળોની જેમ ટેક્સ ચૂસી રહી છે. વીજળી પર સબસિડી ખતમ, એલપીજી સબસિડી ખતમ, પેટ્રોલ અને ડીઝલ પર ડબલ ટેક્સ, ખાદ્યપદાર્થો પર ટેક્સ, લગ્ન, મેરેજ હોલ પર ટેક્સ, એટલે સુધી કે લોકોના મૃત્યુ પછી પણ ટેક્સ લાદવામાં આવી રહ્યો છે.
‘જેટલી મોટી કબર એટલો વધારે ટેક્સ’
સરકારે જાહેરાત કરી છે કે જેટલી મોટી કબર હશે તેટલો વધારે ટેક્સ લાગશે. મોંઘવારી પહેલાથી જ લોકોનો ભોગ લઈ રહી છે, ત્યારે હવે મરવું પણ મુશ્કેલ બની ગયું છે. ગરીબ લોકો આવે છે, તેમની પાસે કફન માટે પણ પૈસા નથી. સવાલો ઉઠી રહ્યા છે કે લોકોએ વીજળીનું બિલ ભરવું કે પાણીનું બિલ કે ગેસનું બિલ ભરવું કે પછી બાળકોને ખાવાનું ખવડાવવું? પાકિસ્તાનના કબ્રસ્તાનોમાં હલચલ વધી ગઈ છે, અને તેનું માપન કરવામાં આવી રહ્યું છે. ટેક્સ નક્કી કરવા માટે કબરોની સાઈઝ માપવામાં આવી રહી છે. પાકિસ્તાનના લોકોને આ પરિસ્થિતિમાંથી ક્યારે મુક્તિ મળશે તે તો આવનારો સમય જ કહેશે.
