ભાજપ દ્વારા આજે અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આજે હિતેશ બારોટે અમદાવાદ શહેરના મેયર પદનો ચાર્જ સંભાળતા સાથે જ એક અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. જે અંતર્ગત તેઓ મેયર તરીકે મળતા સરકારી બંગલો અને ગાડી નહીં વાપરે તેમ જાહેર કર્યું છે.
આ અંગે હિતેશ બારોટે જણાવ્યું કે, મારો મેયર તરીકે કોઈ પણ પ્રકારની સુવિધા લેવાનો સહેજ પણ વિચાર નથી. મેં બોડકદેવ ગામના સરપંચ તરીકે મારી રાજકીય કારકીર્દીની શરૂઆત કરી હતી. હું APMCનો વાઈસ ચેરમેન પણ રહી ચૂક્યો છું. આજ સુધી મેં કોઈ પણ સહકારી સંસ્થાઓમાંથી ક્યારેય વાઉચર નથી લીધુ. આગામી દિવસોમાં શહેરની પ્રજા સમક્ષ રહેવા સિવાય અમદાવાદના મેયર તરીકે મને જે સુવિધા મળવાની છે, તે કોઈ કામની નથી.
કોર્પોરેશનની કાર પણ હું મારી પોતાની જ વાપરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઈંધણ બચાવવા માટે સૂચન કર્યું છે, તે પ્રમાણે હું ઈલેક્ટ્રિક કાર જ વાપરવાનો છું. જ્યારે પ્રોટોકોલમાં જરૂર પડશે, ત્યારે તે પ્રમાણે વાહન વાપરીશ.
મેયર બંગલા કરતાં મારું નાનું ઘર છે. હું મારા નાનકડા ઘરમાં જ રહેવાનો છું. ગત ટર્મના મેયર કિરીટભાઈ પણ નાના રૂમમાં જ રહેતા હતા. તેઓ પણ મેયર બંગલામાં રહેવા માટે નહતા ગયા. હું પણ મેયર બંગલામાં રહેવા માટે નથી જવાનો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતની સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. અમદાવાદ મનપા 48 વોર્ડની 192 બેઠકો વચ્ચે વહેંચાયેલી છે. ગત મહિને યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 130 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 32 બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો હતો. અત્યાર સુધી પ્રતિભા જૈન અમદાવાદના મેયર હતા. રોટેશનના આધારે મેયર પદે હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. જેમનો કાર્યકાળ અઢી વર્ષનો રહેશે.
જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે જશુભાઈ ઠાકોર તથા દંડક તરીકે અતુલભાઈ મિશ્રાની નિમણૂંક કરવામાં આવી છે.
નવી નિયુક્ત ટીમ આજથી સત્તાવાર રીતે પોતાના કાર્યકાળનો પ્રારંભ કરી શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક કેન્દ્રિત વહીવટ માટે જવાબદારીઓ સંભાળશે. અમદાવાદ શહેરમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્વચ્છતા વ્યવસ્થા, પાણી પુરવઠો, આરોગ્ય સેવાઓ, ગ્રીન ડેવલપમેન્ટ તથા નાગરિક સુવિધાઓના વધુ સશક્તિકરણ માટે આગામી સમયમાં વધુ ગતિથી કામગીરી હાથ ધરવામાં આવશે.
