ભારતને જો માત્ર મંદિરોનો દેશ કહેવામાં આવે તો તે અધૂરું ગણાશે, વાસ્તવમાં ભારત અદ્ભુત વિજ્ઞાન અને અકલ્પનીય સનાતન સ્થાપત્ય કલાનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું છે. આપણા દેશમાં પ્રાચીન સમયમાં બનેલા કેટલાક મંદિરો માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ આધુનિક એન્જિનિયરિંગ માટે એક મોટો પડકાર છે. સદીઓ પહેલાં જ્યારે દુનિયા પાસે કોઈ કમ્પ્યુટર, ક્રેન, લોખંડના સળિયા કે આધુનિક મશીનરી નહોતી, ત્યારે ભારતના કારીગરોએ એવા સ્થાપત્યો ઊભા કર્યા જેને જોઈને આજના નાસા (NASA) ના વૈજ્ઞાનિકો પણ દંગ રહી જાય છે.
ચાલો જાણીએ ભારતના એવા ચમત્કારિક મંદિરો વિશે, જેમના નિર્માણમાં સિમેન્ટ કે મોર્ટાર (ચૂના-માટીના મિશ્રણ) નો એક ટીંપા જેટલો પણ ઉપયોગ કરાયો નથી.
૧. કૈલાશ મંદિર (મહારાષ્ટ્ર): ઉપરથી નીચે તરફ બનેલી અજાયબી
વિશ્વની કોઈપણ ઈમારત હંમેશા નીચે પાયાથી શરૂ કરીને ઉપર તરફ બનાવવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રની ઈલોરાની ગુફાઓમાં આવેલું પ્રખ્યાત કૈલાશ મંદિર વિશ્વનું એકમાત્ર એવું સ્થાપત્ય છે, જે ઉપરથી શરૂ કરીને નીચે તરફ કોતરીને બનાવવામાં આવ્યું છે. એક વિશાળ આખા પર્વતને કોઈ પણ સાંધા વિના, માત્ર છીણી અને હથોડીના સહારે ઉપરથી નીચે કાપવામાં આવ્યો હતો. આ મંદિર બનાવવા માટે આશરે ૪ લાખ ટન પથ્થર પર્વતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આજના સમયમાં અત્યાધુનિક મશીનો વડે પણ આવું આયોજનબદ્ધ અને સચોટ બાંધકામ કરવું અશક્ય માનવામાં આવે છે.
૨. બૃહદેશ્વર મંદિર (તમિલનાડુ): ૮૦ ટનનો પથ્થર અને ભૂકંપ-પ્રતિરોધક ટેકનોલોજી
૧,૦૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂના આ ભવ્ય મંદિરના નિર્માણમાં ક્યાંય પણ સિમેન્ટ, પ્લાસ્ટર કે માટીનો ઉપયોગ થયો નથી. આ આખું મંદિર પથ્થરની અંદર પથ્થર ફિટ કરીને એટલે કે ‘પઝલ સિસ્ટમ’ (ઇન્ટરલોકિંગ ટેકનોલોજી) થી બનાવવામાં આવ્યું છે. આ જ કારણ છે કે છેલ્લા હજાર વર્ષમાં આવેલા અનેક વિનાશક ભૂકંપો પણ આ મંદિરનો એક ખૂણો પણ હલાવી શક્યા નથી. આ મંદિરની ટોચ પર ‘કુંભમ’ નામનો એક જ સળંગ વિશાળ પથ્થર મૂકવામાં આવ્યો છે, જેનું વજન ૮૦,૦૦૦ કિલો (૮૦ ટન) છે. તે જમાનામાં ક્રેન વગર આટલો ભારે પથ્થર આટલી ઊંચાઈએ કેવી રીતે પહોંચાડાયો હશે, તે આજે પણ રહસ્ય છે.
હવામાં લટકતો લેપાક્ષીનો સ્તંભ (આંધ્રપ્રદેશ):
આ ઐતિહાસિક મંદિરમાં કુલ ૭૦ વિશાળ સ્તંભો છે. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી એક સ્તંભ જમીનને અડકતો જ નથી, તે હવામાં અધ્ધર લટકે છે! શ્રદ્ધાળુઓ આ સ્તંભની નીચેથી કપડું આરપાર કાઢીને આ ચમત્કારને નજરે નિહાળે છે. આ આખા સ્તંભનો ભાર જમીનને બદલે છત પર ટકેલો છે, જે સ્થાપત્ય વિજ્ઞાનનો બેજોડ નમૂનો છે.
૩. કોણાર્ક સૂર્ય મંદિર (ઓડિશા): પથ્થરના પૈડાં જે આપે છે મિનિટોનો સચોટ સમય
ઓડિશાનું કોણાર્ક મંદિર સાત શક્તિશાળી ઘોડાઓ દ્વારા ખેંચાતા એક વિશાળ રથના આકારમાં બનેલું છે. આ રથમાં પથ્થરના ૨૪ મોટા પૈડાં કોતરવામાં આવ્યા છે. આ પૈડાં માત્ર સજાવટ માટે નથી, પરંતુ તે એક અત્યંત સચોટ ‘સૂર્ય ઘડિયાળ’ (Sun Dial) છે. આજે પણ આ પૈડાંની ધરી પર પડતા સૂર્યના પડછાયાને જોઈને સ્થાનિક લોકો મિનિટોના સચોટ આંકડા સાથે સાચો સમય જણાવી દે છે. એવું પણ માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં આ મંદિરની ટોચ પર એક શક્તિશાળી ચુંબક હતો, જેના કારણે ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય મૂર્તિ હવામાં તરતી રહેતી હતી.
૪. વિઠ્ઠલ મંદિર (હમ્પી, કર્ણાટક): પથ્થરોમાંથી વહેતા સંગીતના સાત સૂર
શાસ્ત્રો અને વિજ્ઞાન કહે છે કે પથ્થરો અથડાવાથી માત્ર કર્કશ અવાજ આવે. પરંતુ હમ્પીમાં આવેલું વિઠ્ઠલ મંદિર એક સંગીતમય અજાયબી છે. આ મંદિરમાં સંગીતના ૫૬ ખાસ સ્તંભો આવેલા છે, જેને સામાન્ય હાથથી અથવા હળવેથી ટકોરો મારવામાં આવે, તો તેમાંથી સંગીતના સાતેય સૂર (સા-રે-ગા-મા-પા-ધા-ની) નો સ્પષ્ટ અવાજ ગુંજી ઉઠે છે! આ રહસ્યને જાણવા માટે બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોએ બે સ્તંભોને વચ્ચેથી કાપી નાખ્યા હતા કે અંદર કોઈ પાઇપ કે ધાતુ છુપાવી છે કે કેમ, પરંતુ અંદરથી માત્ર નક્કર પથ્થર જ નીકળ્યો હતો. પથ્થરની ઘનતા સંગીતના સૂરો પ્રમાણે કેવી રીતે સેટ કરવામાં આવી, તેનો જવાબ આજના વિજ્ઞાન પાસે પણ નથી.
