મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ચાર વોટર એરોડ્રોમના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા સાથે MoU – સમજૂતિ કરાર માટે રાજ્ય મંત્રીમંડળની આવતીકાલ, બુધવારની બેઠકમાં દરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે ભારત સરકારની રિજીયોનલ કનેકટીવીટી સ્કીમ RCS ઊડાન ૩ અને ૪ અંતર્ગત આ ચાર વોટર એરોડ્રોમ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ, સરદાર સરોવર ડેમ, નર્મદા-કેવડીયા, શેત્રુંજ્ય ડેમ પાલિતાણા અને ધરોઇ ડેમ મહેસાણા ખાતે વિકસાવી હવાઇ સેવા શરૂ કરવામાં આવશે.
વોટર એરોડ્રોમ એ ખુલ્લા પાણીનો એક વિસ્તાર છે તેનો ઉપયોગ એમ્ફીબિયસ વિમાન દ્વારા ઉતરાણ અને ઉડાણ માટે થઇ શકે છે. તદુપરાંત, ટ્રાફિકના જથ્થાને આધારે, વોટર એરોડ્રોમમાં કિનારે વિમાનો પાર્ક કરી શકાય છે અને જમીનની બાજુએ ટર્મિનલ બિલ્ડિંગ હોઇ શકે છે.
એરપોર્ટ ઓથોરિટી આવા વોટર એરોડ્રોમના વિકાસ માટે માસ્ટર પ્લાનીંગ માટે રાજ્ય સરકારને મદદ કરશે. વોટર એરોડ્રોમ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા વિકસાવશે. એટલું જ નહિ, વોટર નેશનલ હાઇડ્રોગ્રાફીક ઓફિસ આ વોટર એરોડ્રોમ સાઇટનો સર્વે હાથ ધરશે.
