ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગાંધીનગરના નિવાસસ્થાન ખાતે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા. માધવસિંહ સોલંકીનો જન્મ ૩૦ જુલાઈ ૧૯૨૭ના રોજ થયો હતો. તેઓ ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી હતા.
માધવસિંહ સોલંકીની રસપ્રદ વાતો
માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભૂતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂકયા છે. તેઓ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સંભાળેલું હતું. આ સાથે જ તેઓ ‘ખામ થિયરી’ માટે જાણીતા થયા, જેના કારણે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તા પર આવ્યા હતા. માધવસિંહ સોલંકીએ એમના કાર્યકાળ દરમિયાન દેશભરની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના લાગુ કરાવેલી હતી. જેના દ્વારા સેંકડો ગરીબ બાળકોને સ્કૂલમાં પોષણયુકત ભોજન મળી રહ્યું છે.
માધવસિંહ સોલંકી ચાર વખત એટલે કે ૧૯૭૩-૧૯૭૫-૧૯૮૨-૧૯૮૫માં ગુજરાતના મુખ્ય મંત્રી પદે રહ્યા હતા. ગુજરાત વિધાનસભામાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતવાનો એમનો રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી શકયા નથી.
માધવસિંહ સોલંકી “ખામ થિયરી” માટે જાણીતા થયા હતા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતા. ગુજરાતની રાજનીતિ અને જાતીગત સમીકરણો સાથે તેઓ સત્તામાં આવ્યા હતા. ‘ખામ’ એટલે કે ક્ષત્રિય, હરિજન, આદીવાસી અને મુસ્લિમ ૧૯૮૦ના દાયકામાં તેમણે આ ચારેય વર્ગોને એક સાથે જોડયા અને પ્રચંડ બહુમતીથી સત્તા મેળવી હતી. તેઓ વ્યવસાયે વકિલ હતા.
કુલ ૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભામાં આજ સુધી કુલ સૌથી વધુ ૧૪૯ બેઠક મેળવવાનો વિક્રમ નોંધાવનાર કોંગ્રેસીનેતા માધવસિંહ સોલંકીને પક્ષની યાદવાસ્થળીએ ૧૯૮૫માં ઘરભેગા કર્યા.
