કેન્દ્ર સરકારે કોરોના અંગેના દરેક પ્રતિબંધોને હટાવવાનો નિર્ણય કર્યો છે. દેશમાં કોરોના સતત ઘટતા કેસના લીધે દરેક પ્રતિબંધોને હટાવામાં આવ્યા છે. કોવિડ પ્રતિબંધ અંદાજે ૨ વર્ષોથી ચાલુ હતા.
અધિકારીઓએ કહ્યું કે, ચહેરા પર માસ્ક પહેરવું અત્યારે જરૂરી રહેશે. ૩૧ માર્ચથી તમામ પ્રતિબંધો હટાવવામાં આવશે. કેન્દ્ર સરકારે કોરોનાના કેસો રોકવા માટે ૨૪ માર્ચ ૨૦૨૦ના રોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ હેઠળ અનેક માર્ગદર્શિકા જારી કરી હતી.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ડીએમ એકટ હેઠળ જારી કરાયેલી માર્ગદર્શિકા દૂર કરવા કહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ નિર્ણય લીધો છે કે હવે ડીએમ એકટની જોગવાઈઓને લાગુ કરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે આ નિયમોની અવધિ ૩૧ માર્ચે સમાપ્ત થઈ રહી છે. આ પછી ગૃહ મંત્રાલય દ્વારા કોઈ આદેશ જારી કરવામાં આવશે નહીં.
જો કે, પત્રમાં કહેવામાં આવ્યું છે કે માસ્ક પહેરવા અને હાથની સ્વચ્છતા અંગેની સલાહ ચાલુ રાખવામાં આવી શકે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કુલ કેસોની સંખ્યા ૨૩ હજાર ૯૧૩ છે અને સકારાત્મકતા દર ઘટીને ૦.૨૮ ટકા પર આવી ગયો છે. આ સાથે ૧૮૧.૫૬ કરોડ રસીકરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું સ્થિતિમાં સુધારો અને રોગચાળાને પહોંચી વળવા સરકારની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, NDMA એ નિર્ણય લીધો છે કે કોવિડની રોકથામ માટે DM એકટની જોગવાઈઓને લાગુ કરવાની જરૂર નથી. તેમણે લખ્યું છે કે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા હાલના આદેશને પૂર્ણ કર્યા પછી કોઈ નવો આદેશ જારી કરવામાં આવશે નહીં.
