ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભૂજ તાલુકામાં આવેલું એશિયાનું સમૃદ્ધ ગામ એટલે માધાપર. આ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મંદિર એ સાંસ્કૃતિક સંકુલ છે. મંદિર એટલે ભગવાનને રહેવાનું સ્થાન. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃતિઓનું કેન્દ્ર છે. મંદિરો એટલે માનવ સુધારણાનું કેન્દ્ર સ્થાન છે,
શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કચ્છમાં સત્સંગ વિચરણ કરી સર્વ પ્રથમ માધાપર ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરનું સર્જન કર્યું છે. કારણ કે માણસને સંસ્કારી બનાવવા માટે મંદિર, માણસને ઘડવા માટે મંદિર, સમાજ ઘડતર માટે મંદિર, સમાજની શુદ્ધિ માટે મંદિર, સદાચારની પ્રેરણા માટે મંદિર, મનની સ્થિરતા કેળવવા માટેનું માધ્યમ એટલે મંદિર. ધર્મ જ્ઞાન વૈરાગ્યના પાઠો ભણાવવા માટે મંદિર માણસ ને ખરા અર્થમાં માણસ બનાવવા માટે નું મંદિર,
શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સત્સંગ સંસ્કારોનું સિંચન સદાય મળી રહે તેવા ઉમદા હેતુસર માધાપર, શ્રી સ્વામિનારાયણ મંદિરનું નવનિર્માણ કર્યું. મંદિરોથી સંસ્કાર વધે છે, સંસ્કાર હશે તો જ આપણને શાંતિ મળશે. મંદિરમાં વિશ્વબંધુત્વ ની ભાવના કેળવાય છે સાથે મંદિરોમાં રહેતા ભગવાનને સમર્પિત શુદ્ધ પવિત્ર જીવન જીવતા સંતોનો સમાગમ પણ મંદિરમાં આવવાથી જ સાંપડે છે આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિરની જરૂરિયાત છે,
આજકાલ કરતાં શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપરમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપા બિરાજમાન થયે ૭૫ વર્ષ પૂર્ણ થતાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ નું તારીખ: ૧૧/૦૫/૨૦૨૪ થી તારીખ: ૧૪/૦૫/૨૦૨૪ ચતુર્થ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે,
આ પાવનકારી અમૃત મહોત્સવે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેમજ શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, ભકિત સંગીત (કીર્તિભાઈ વરસાણી) જેમાં મુંબઈના ખ્યાતનામ કલાકારો અને સાજીંદાઓ સૂરાવલી રેલાવશે. વળી, કચ્છમાં પહેલીવાર ૨૦ વાયોલીન, ૪૦ બ્રાસ પ્લેયર સાથે ૫૦ જેટલા કલાકારો, આર્ટિસ્ટ જય રાઠોડના કાફલા સાથે સંગીતરસ પીરસશે, રાસોત્સવ, નગરયાત્રા, સ્વામિનારાયણબાપા સ્વામીબાપા નું ષોડશોપચારથી પૂજન, અર્ચન, અન્નકૂટ દર્શન, આરતી, પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો પણ યોજાશે,
શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ માધાપર ગામની એમએસવી હાઈસ્કૂલના પ્રાંગણમાં વિશાળ ડોમ અને બંને બાજુ સ્ટેજ બનાવી શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે, આ દિવ્ય અણમોલ અવસરનો લ્હાવો લેવા કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, લંડન, બોલ્ટન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા વગેરે રાષ્ટ્રોના હરિભક્તો હર્ષોલ્લાસભેર આવી રહ્યા છે.
અહેવાલ :- કેયુર ઠકકર ( અમદાવાદ )


