હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આરોપોના જવાબમાં માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિએ આને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે તેમની નાણાકીય સ્થિતિ ઓપન બૂક છે.
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે ગયા વર્ષે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી પર ગંભીર આરોપો લગાવતો અહેવાલ બહાર પાડ્યો હતો, જ્યારે આ વર્ષે પણ તેણે અદાણીને સામેલ કરીને માર્કેટ રેગ્યુલેટર સેબી પર નિશાન સાધ્યું છે. તેના નવા અહેવાલમાં, હિંડનબર્ગે અદાણી જૂથ અને સેબીના વડા માધબી પુરી બુચ વચ્ચેના સંબંધોનો દાવો કરતા આરોપ લગાવ્યો છે કે વ્હિસલબ્લોઅર પાસેથી મેળવેલા દસ્તાવેજો દર્શાવે છે કે જે ઓફશોર એન્ટિટીઝનો ઉપયોગ અદાણી મની સાઇફનિંગ કૌભાંડમાં થયો હતો, એમાં સેબીના ચેરમેનની ભાગીદારી હતી.
સેબીના ચેરપર્સન દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે, જેમાં તેણે કહ્યું છે કે આ તમામ પાયાવિહોણા છે અને આ માત્ર તેને બદનામ કરવાનો પ્રયાસ છે.
હિંડનબર્ગ દ્વારા શનિવારે જાહેર કરાયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્હિસલબ્લોઅર દસ્તાવેજો દર્શાવે છે કે માધબી બુચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડ 1 સાથે તેમનું ખાતું ખોલાવ્યું હતું. આમાં દંપતીનું કુલ રોકાણ 10 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે. હિંડનબર્ગે આક્ષેપ કર્યો કે ઓફશોર મોરેશિયસ ફંડની સ્થાપના ઇન્ડિયા ઇન્ફોલાઈન દ્વારા અદાણી ગ્રુપના એક ડાયરેક્ટર દ્વારા કરવામાં આવી હતી અને તે ટેક્સ હેવન મોરેશિયસમાં નોંધાયેલ છે.
અમેરિકન શોર્ટ સેલર દ્વારા કરવામાં આવેલા આ તમામ આરોપોને ફગાવી દેતા સેબીના ચેરપર્સન માધબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચે રવિવારે વહેલી સવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે 10 ઓગસ્ટના રોજ હિંડનબર્ગ રિપોર્ટમાં કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને તેમાં કોઈ સત્ય નથી. અમારું જીવન અને ફાઇનાન્સ એક ઓપન બૂક જેવું છે. અમને જે પણ ખુલાસા કરવાની જરૂર હતી, તે તમામ માહિતી વીતેલા વર્ષોથી સેબીને આપી દેવામાં આવી છે.
