પાકિસ્તાનની કમર તોડી નાખે તેવો ભારત સરકારની મોટો પ્રહાર કરવાની યોજના છે. ભારત અને પાકિસ્તાનની સરહદ પર પહેલાથી જ તણાવપૂર્ણ સ્થિતિ છે, જે આગામી મોટા સંઘર્ષનો સંકેત આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓને સંપૂર્ણ છૂટ આપી દીધી છે અને હવે અંતિમ મહોર માટે આજે બુધવારે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકોનો દોર ચાલશે.
પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે આજે દિલ્હીમાં દિવસભર ધમધમાટ રહેશે. વડાપ્રધાન મોદીના આગામી પગલાં પર સૌની નજર મંડાયેલી છે. આજે ચાર મોટી બેઠકો નક્કી કરવામાં આવી છે, જેમાં વડાપ્રધાન મોદી પોતે હાજર રહેશે. આ બેઠકોમાં દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મંત્રીઓ પણ ભાગ લેશે.
આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠકોમાં સૌથી પહેલા કેબિનેટ સુરક્ષા સમિતિ (CCS)ની બેઠક યોજાશે. ત્યારબાદ રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)ની બેઠક થશે, જે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પછી વડાપ્રધાન મોદીની હાજરીમાં આર્થિક બાબતોની સમિતિ (CCEA)ની બેઠક યોજાશે, જે ત્રીજી મોટી બેઠક હશે. આ ઉપરાંત, આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ યોજાશે, જે પહેલગામ હુમલા પછીની પ્રથમ બેઠક હશે.
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાઓના વડાઓ (સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ) સામેલ થયા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદને સખત ફટકો મારવો એ ભારતનો રાષ્ટ્રીય સંકલ્પ છે. તેમણે ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોને ભારતની પ્રતિક્રિયાની રીત, લક્ષ્ય અને સમય અંગે નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ અને તેના પાછળના કાવતરાખોરોને કડક સજા કરવામાં આવશે.
