બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ હાલમાં સિનેમા જગતમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો વિષય છે. 4000 કરોડ રૂપિયાના તોતિંગ બજેટ સાથે બની રહેલી આ ફિલ્મ રણબીર માટે માત્ર એક વ્યાવસાયિક પ્રોજેક્ટ નથી, પરંતુ તેના અંગત જીવનની એક ભાવનાત્મક સફર બની ગઈ છે.
રણબીરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ભગવાન રામનું પાત્ર ભજવવું એ તેના માટે એક દૈવી અનુભવ છે, કારણ કે આ સમયે તે પોતે પણ પિતા તરીકેના સુવર્ણ કાળનો આનંદ માણી રહ્યો છે. સેટ પર શૂટિંગ પૂરું કરીને ઘરે પહોંચતા જ રણબીર તેના પિતાના રોલમાંથી બહાર આવીને તેની ત્રણ વર્ષની પુત્રી રાહાને રામાયણની પવિત્ર વાર્તાઓ સંભળાવે છે, જે આ પ્રોજેક્ટને તેના હૃદયની વધુ નજીક લાવે છે.
રણબીર કપૂરે પોતાની પિતા તરીકેની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી માનું છું કે મને ભગવાન રામનું પાત્ર ભજવવાની તક એવા સમયે મળી છે જ્યારે હું તાજેતરમાં જ પિતા બન્યો છું.” રણબીરના જણાવ્યા મુજબ, નાનકડી રાહા તેની વાર્તાઓમાં ઊંડો રસ લે છે અને તેની નિર્દોષ જિજ્ઞાસા રણબીરને પણ આશ્ચર્યમાં મૂકી દે છે.
જ્યારે તે શૂટિંગ પરથી પાછો ફરે છે, ત્યારે રાહા તેને ઉત્સાહથી પૂછે છે, “પપ્પા, આજે તમે હનુમાનજી સાથે શૂટિંગ કર્યું? માતા સીતા સાથે શું કર્યું?” આ નિર્દોષ સવાલો રણબીર માટે દિવસભરના થાકને ઉતારવાનું માધ્યમ બની ગયા છે અને તેના પાત્રમાં વધુ ઊંડાણ લાવવામાં મદદ કરી રહ્યા છે.
નિર્દેશક નિતેશ તિવારીના માર્ગદર્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર પોતાની જૂની ઈમેજ તોડીને સંપૂર્ણપણે મર્યાદા પુરુષોત્તમ રામના અવતારમાં જોવા મળશે. રણબીરના મતે રામાયણની વાર્તાઓ પોતાની પુત્રીને સંભળાવવી એ તેના માટે સંસ્કારોનું સિંચન કરવા સમાન છે. આ ફિલ્મમાં માત્ર ભવ્ય સેટ અને અત્યાધુનિક VFX જ નહીં, પણ રણબીરની આંતરિક શ્રદ્ધા પણ જોવા મળશે. મુંબઈના સ્ટુડિયોમાં રાત-દિવસ ચાલી રહેલા આ ફિલ્મના શૂટિંગ દરમિયાન રણબીર તેની પુત્રી સાથેના આ સંવાદોને પોતાની જિંદગીની શ્રેષ્ઠ ક્ષણો ગણાવે છે.
હવે જોવાનું એ રહેશે કે 4000 કરોડના આ ખર્ચાળ પ્રોજેક્ટમાં રણબીર પડદા પર ભગવાન રામના પાત્રને કેટલો ન્યાય આપી શકે છે.
(2:44 PM IST)
