પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હિંગોલ નદીના કિનારે આવેલી પવિત્ર શક્તિપીઠ હિંગળાજ માતાના મંદિરે રવિવારે ત્રણ દિવસીય વાર્ષિક ઉત્સવનું શ્રદ્ધાપૂર્વક સમાપન થયું હતું. હિંગોલ નેશનલ પાર્કની પથરાળ ખીણોમાં આયોજિત આ મેળામાં ૩ લાખથી વધુ હિન્દુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો, જે ભારત અને નેપાળ બહાર દક્ષિણ એશિયાનો સૌથી મોટો હિન્દુ ધાર્મિક મેળો માનવામાં આવે છે.
નાની તેરી માયાના ગુંજારવ સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સિંધ પ્રાંતના થરપારકર અને ઉમરકોટ જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી હજારો ભક્તો ૨૦ દિવસની પદયાત્રા કરીને ઉઘાડા પગે માતાના દરબારમાં પહોંચ્યા હતા, જે તેમની અતૂટ આસ્થાની પ્રતીતિ કરાવે છે.
ધાર્મિક મહત્વની દ્રષ્ટિએ હિંગળાજ માતાનું આ ગુફા મંદિર ૫૧ શક્તિપીઠોમાંનું એક અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે, જ્યાં દેવી સતીનું બ્રહ્મરંધ્ર પડ્યું હોવાનું મનાય છે. આ ઉત્સવ દરમિયાન શ્રી હિંગળાજ માતા કલ્યાણ મંડળ દ્વારા ૨૪ કલાક અન્નક્ષેત્ર ચલાવવામાં આવ્યું હતું, જેમાં મુસાફરો માટે ઠંડુ પાણી, શરબત અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વર્ષે યાત્રામાં માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ સેનેટર દાનિશ કુમાર સહિતની અનેક રાજકીય હસ્તીઓએ પણ હાજરી આપી હતી. પહાડી ભૂપળષ્ઠ અને મર્યાદિત વાહન વ્યવહાર હોવા છતાં, શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઉણપ જોવા મળી નહોતી.
સુરક્ષાની દ્રષ્ટિએ આટલા મોટા જનમેદનીને સંભાળવા માટે પાકિસ્તાની વહીવટીતંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી હતી. પાકિસ્તાન આર્મી, ફ્રન્ટિયર કોર્પ્સ અને પોલીસની ટુકડીઓએ સમગ્ર પહાડી વિસ્તારને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું જેથી કોઈ અણછાજતી ઘટના ન બને. પાકિસ્તાનમાં વસતા આશરે ૫૦ લાખ હિન્દુઓ માટે આ સ્થળ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ સાંસ્કળતિક એકતાનું પણ પ્રતીક છે. સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકો પણ આ યાત્રાને નાની કા હજ કહીને માન આપે છે, જે બલુચિસ્તાનમાં ભાઈચારાની એક અનોખી મિસાલ પેશ કરે છે.
