July 22, 2026
તાજા સમાચારદેશરાજકારણ

દિલ્હી પોલીસ દ્વારા રાહુલ ગાંધી અને અન્ય સાંસદોની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી

દિલ્હીમાં CJP આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શનના વિરોધમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિલ્હી સ્થિત લોકકલ્યાણ માર્ગ પર આવેલા નિવાસસ્થાન તરફ માર્ચ કરીને વિરોધ પ્રદર્શન શરૂ કરતાં દિલ્હી પોલીસ દ્વારા રાહુલ ગાંધી અને અન્ય સાંસદોની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી છે. સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે દિલ્હી પોલીસ અને સીજેપી સમર્થકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ વિપક્ષ અને સરકાર વચ્ચેનો ટકરાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

આ ઘટનાક્રમ દરમિયાન વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે રાહુલ ગાંધી સાથે સ્થળ પર મુલાકાત કરીને બુધવારે સંસદમાં વિદ્યાર્થીઓના મુદ્દે ચર્ચા કરવાની સરકારની તૈયારી દર્શાવી હતી. જોકે, કોંગ્રેસ પક્ષ પોતાની માંગણીઓ પર અડગ રહ્યો હતો. રાહુલે સ્પષ્ટ કર્યું હતું કે ચર્ચા પહેલાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગ બદલ દેશની જનતાની માફી માંગે અથવા પોતાના પદ પરથી રાજીનામું આપે.

સંસદમાં લોકસભા અધ્યક્ષ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્ને ચર્ચા કરવાની તક ન અપાતાં રાહુલ ગાંધીએ સાંસદો સાથે મળીને વડાપ્રધાન નિવાસસ્થાને જવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, જનરલ સેક્રેટરી શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રા અને કે.સી. વેણુગોપાલ સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ પ્રદર્શનને નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના શરદ પવાર, સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ, આમ આદમી પક્ષના અરવિંદ કેજરીવાલ અને એનસીપી નેતા શ્રીમતી સુપ્રિયા સુલેએ પણ ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો.

પ્રદર્શન પહેલાં સંસદ ભવન બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સખત પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશની સમગ્ર શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીને ઉધઈ કોરી ખાધી છે અને દેશના યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનાવી દેવાયું છે. શિક્ષણ વ્યવસ્થા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કબ્જો થઈ ગયો છે. રાહુલે સોશિયલ મીડિયા પર પણ લખ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જવાબો આપ્યા વિના અને જવાબદારીમાંથી ભાગી શકે નહીં.

ઉલ્લેખનીય છે કે, વિરોધ પ્રદર્શનમાં જોડાતા પહેલાં રાહુલ ગાંધી, શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રા અને કે.સી. વેણુગોપાલ રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમવારે પોલીસ કાર્યવાહીમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓની મુલાકાત લઈને તેમના હાલચાલ પૂછ્યા હતા. દિલ્હીમાં વધતા જતાં રાજકીય ગરમાવા વચ્ચે વિપક્ષે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે શિક્ષણ વ્યવસ્થામાં ગડબડ અને વિદ્યાર્થીઓ પર થયેલા દમન સામે તેમનું આંદોલન વધુ તીવ્ર બનશે.

Related posts

સોનમ વાંગચુકના આમરણ ઉપવાસ શુક્રવારે સતત ૨૦મા દિવસમાં પ્રવેશ્યા

Ahmedabad Samay

પેરિસના ગોરી મેમનું આવ્યું ભારતીય યુવક પર દિલ , ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કર્યા લગ્ન

Ahmedabad Samay

Delhi NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આચક અનુભવાય.

Ahmedabad Samay

ઋષભ પંતના અકસ્માત વેળાએ મદદે આવેલા બસ ચાલકને ઉત્તરાખંડ પોલીસ દ્વારા સન્માનિત કરાશે

Ahmedabad Samay

કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા

Ahmedabad Samay

ઓલમ્પિકમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો