July 10, 2026
ગુજરાત

સાંસદ નરહરિ અમીનને તેમની શ્રેષ્ઠ સંસદીય કામગીરી બદલ ‘સંસદ રત્ન પુરસ્કાર’ એવોર્ડથી નવાજવામાં આવશે

ભારતીય લોકશાહીના સર્વોચ્ચ મંદિર ગણાતી સંસદમાં કાયદા ઘડવાની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેનારા, જનહિતના પ્રશ્નો ઉઠાવનારા અને ગૃહની ગરિમા વધારનારા જનપ્રતિનિધિઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે.

વર્ષ ૨૦૨૬ ના પ્રતિષ્ઠિત ‘સંસદ રત્ન પુરસ્કાર’ ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ખાનગી સંસ્થા ‘પ્રાઇમ પોઇન્ટ ફાઉન્ડેશન’ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં આ વર્ષે દેશભરમાંથી ૧૨ ઉત્કૃષ્ટ સાંસદો અને ચાર મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓની તેમના શાનદાર અને લોકાભિમુખ કાર્યો માટે પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કારો સંસદના બજેટ સત્રના અંત સુધીમાં એક ભવ્ય સમારોહમાં એનાયત કરવામાં આવશે.

વ્યક્તિગત શ્રેણીમાં સન્માનિત થનારા સાંસદોમાં દેશના અનેક દિગ્ગજ અને અનુભવી રાજકારણીઓના નામ સામેલ છે. જેમાં ઉત્તર પ્રદેશના વરિષ્ઠ ભાજપ નેતા જગદંબિકા પાલ, ઝારખંડના નિશિકાંત દુબે, રાજસ્થાનના પીપી ચૌધરી અને મહારાષ્ટ્રના શિવસેનાના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદે અગ્રેસર છે. આ ઉપરાંત પ્રવીણ પટેલ, વિદ્યુત બરન મહતો, લુંબારમ ચૌધરી, હેમંત વિષ્ણુ સાવરા, સ્મિતા ઉદય વાઘ, નરેશ ગણપત મ્હસ્કે અને મેધા વિશ્રામ કુલકર્ણીનું નામ પણ આ યાદીમાં ચમક્યું છે.

ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વર્તમાન સાંસદ નરહરિ અમીનને પણ તેમની શ્રેષ્ઠ સંસદીય કામગીરી બદલ આ એવોર્ડથી નવાજવામાં આવશે. ખાસ વાત એ છે કે વિજેતાઓમાં જગદંબિકા પાલ અને ચરણજીત સિંહ ચન્ની જેવા પૂર્વ મુખ્યમંત્રીઓ પણ સામેલ છે.

સાંસદોની સાથે ગૃહની ચાર મુખ્ય સમિતિઓને પણ તેમની અદભુત કામગીરી માટે પસંદ કરાઈ છે, જેમાં ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વવાળી કૃષિ સમિતિ, ભર્તૃહરિ મહતાબની નાણા સમિતિ, સપ્તગિરિ શંકર ઉલકાની ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સમિતિ તથા અનુરાગ ઠાકુરની અધ્યક્ષતાવાળી કોલસા અને ખાણ સમિતિનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડની સ્થાપના વર્ષ ૨૦૧૦ માં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના અમૂલ્ય સૂચન પર કરવામાં આવી હતી. આ પુરસ્કાર આપવાનો મુખ્ય હેતુ એવા લોકપ્રતિનિધિઓને પ્રોત્સાહિત કરવાનો છે જેઓ સંસદીય ચર્ચાઓ, પ્રશ્નોત્તરી અને પ્રાઇવેટ બિલ રજૂ કરવામાં સૌથી વધુ સક્રિય રહીને સાચા અર્થમાં જનતાનું પ્રતિનિધિત્વ કરે છે.

Related posts

પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરવા માંગ

Ahmedabad Samay

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેવાસેતુ કાર્યક્રમના સાતમાં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કેસને લઈ મોટા સમાચાર, અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર્સ સહિત 4ની ધરપકડ

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઈનાનવા મંત્રીમંડળમાં ૧૦ કેબિનેટ પ્રધાનો, પાંચને સ્વતંત્ર હવાલો અને નવ રાજ્યકક્ષાના પ્રધાનો બન્યા

Ahmedabad Samay

ભારત જોડો યાત્રા 2.0 : શું રાહુલ ગાંધી ગુજરાતથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે?

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લૂંટની વારદાતને અંજામ આપતા આધેડનું મૃત્યુ થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો