અમદાવાદ શહેરના ચાર રસ્તા, પ્રખ્યાત મંદિરો, મોલ અને હોસ્પિટલો બહાર માસૂમ બાળકોને હાથ ફેલાવીને ભીખ માંગતા જોઈને જેમને આપણે સામાન્ય ભિક્ષુક સમજતા હતા, તે વાસ્તવમાં એક ખૂબ જ મોટા અને સંગઠિત હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી) નેટવર્કનો હિસ્સો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એએમસી (AMC) દ્વારા શહેરમાંથી બાળ ભિક્ષુકોને મુક્ત કરાવવા માટે ચલાવવામાં આવેલી એક ખાસ ઝુંબેશ દરમિયાન આ ચોંકાવનારો કાળો કારોબાર સામે આવ્યો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ગામના સરપંચો (ગામના મુખીઓ) જ આ માસૂમ બાળકોના સોદાગર બન્યા હોવાનું ખુલ્યું છે.
૨૭૬ બાળકોનો રેસ્ક્યુ: આવી રીતે ચાલતું હતું આખું નેટવર્ક
પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં આ આંતરરાજ્ય ગેંગની ચુંગાલમાંથી ૨૭૬ જેટલા નિર્દોષ બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, આ કોઈ સામાન્ય ભિખારીઓ નથી પરંતુ એક સુનિયોજિત સિન્ડિકેટ છે. ગુજરાતની ભીખ મંગાવતી ટોળકીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશના અંતરિયાળ અને ગરીબ ગામડાઓનો સંપર્ક કરતી હતી. ત્યાંના લોભી સરપંચો આ ટોળકીઓ પાસેથી મોટી રકમ એડવાન્સમાં મેળવીને પોતાના જ ગામના અતિશય ગરીબ પરિવારોના બાળકોને ટાર્ગેટ કરતા હતા. સરપંચો આ પૈસાનો થોડોક ભાગ માબાપને આપીને બાકીના પોતાની પાસે રાખતા હતા. એટલું જ નહીં, આ માસૂમ બાળકો અમદાવાદની સડકો પર આખો દિવસ તડકામાં જે ભીખ માંગે, તે રોજની કમાણીમાંથી પણ ૨૦% હિસ્સો આ સરપંચો પોતાના ખિસ્સામાં સરકાવી લેતા હતા!
વધુ કમાણી વાળી જગ્યાઓનું થતું હતું ‘લોકેશન મેપિંગ’
ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક એટલું પ્રોફેશનલ હતું કે બાળકોને ક્યાં ઊભા રાખવા તેનું પ્રોપર પ્લાનિંગ થતું હતું. ધાર્મિક સ્થળો અને મોટા મંદિરો બહાર સૌથી વધુ કમાણી થતી હોવાથી ત્યાં મુખ્ય પ્લાન્ટિંગ કરાતું, ત્યારબાદ વ્યસ્ત ટ્રાફિક જંક્શનો, મોટી હોસ્પિટલો અને શોપિંગ મોલ્સ જેવા વિસ્તારો પસંદ કરવામાં આવતા હતા. પોલીસ દ્વારા હવે એવા તમામ ગામડાઓ અને લોકેશનોનું મેપિંગ કરી દેવામાં આવ્યું છે જ્યાંથી આ બાળકોને લાવવામાં આવતા હતા.
૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની તૈયારી અને માસૂમોનું પુનર્વસન
અમદાવાદ શહેર આગામી ૨૦૩૦માં યોજાનારી ‘કોમનવેલ્થ ગેમ્સ’ની યજમાની કરવાની તૈયારીઓ કરી રહ્યું છે, જેના ભાગરૂપે શહેરને ભિક્ષુકમુક્ત અને બાળ-મજૂરી મુક્ત બનાવવા આ ડ્રાઇવ શરૂ કરાઈ હતી. પોલીસે જણાવ્યું છે કે પકડાયેલા તમામ માસૂમોને સરકારી પ્રાથમિક શાળાઓમાં દાખલ કરવામાં આવશે અને તેમને ભોજન, આશ્રય તથા યોગ્ય પુનર્વસન પૂરું પાડવામાં આવશે. બીજી તરફ, બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા અને વહીવટી પદ પર બેસીને દલાલી કરનારા રાજસ્થાન-એમપીના સરપંચો તેમજ સંડોવાયેલા માતા-પિતા સામે માનવ તસ્કરી (ચાઇલ્ડ ટ્રાફિકિંગ)ના કાયદા હેઠળ કડક ગુનો નોંધીને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
