મહારાષ્ટ્રના પંઢરપુરમાં અષાઢી એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલ અને દેવી રુકમણીના દર્શન કરવા પહોંચેલા લાખો શ્રદ્ધાળુઓ વચ્ચે એક અત્યંત કટોકટી ભરી પરિસ્થિતિ સર્જાઈ હતી. પંઢરપુરની સાંકડી ગલીઓમાં જનમેદની વચ્ચે છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરનાર ૫૪ વર્ષીય ભક્ત બાલુ પડલુ માટે રાજ્ય સરકારની નવી શરૂ કરાયેલી ‘એર એમ્બ્યુલન્સ સેવા’ સાક્ષાત દેવદૂત સાબિત થઈ છે. ઇતિહાસમાં પ્રથમ વખત આ સેવાનો ઉપયોગ કરીને ગંભીર સ્થિતિમાં રહેલા યાત્રાળુને સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવવામાં સફળતા મળી છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરાયેલા અધિકૃત નિવેદન અનુસાર, છત્રપતિ સંભાજીનગરના રહેવાસી બાલુ પડલુ સોલાપુર જિલ્લાના પંઢરપુર ખાતે વરકડી યાત્રામાં આવ્યા હતા. દર્શન દરમિયાન અચાનક તેમની તબિયત લથડતાં તબીબોએ પ્રાથમિક સારવાર આપી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાં ECG રિપોર્ટ જોતાં જ તબીબોને ખ્યાલ આવી ગયો હતો કે દર્દીને તાત્કાલિક અદ્યતન હૃદયરોગની સારવારની જરૂર છે.
પરંતુ, અષાઢી વારી યાત્રામાં લાખો ભક્તોની ભીડના કારણે માર્ગો સંપૂર્ણપણે બંધ જેવા હતા. જો દર્દીને એમ્બ્યુલન્સ દ્વારા રોડ માર્ગે લઈ જવામાં આવે તો કિંમતી સમય વેડફાઈ જાય તેમ હતો અને દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા સિવિલ સર્જન ડૉ. વર્ષા ડોઇફોડે અને ડોક્ટરોની ટીમે દર્દીને તાત્કાલિક સોલાપુર એરલિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. એર એમ્બ્યુલન્સ મારફતે તેમને સોલાપુર એરપોર્ટ પહોંચાડાયા અને ત્યાંથી ગ્રીન કોરિડોર દ્વારા યશોધરા હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ પાસે ખસેડવામાં આવ્યા હતા.
સોલાપુર એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સના લેન્ડિંગ વખતે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પોતે દર્દીને મળવા પહોંચ્યા હતા. તેમણે બાલુ પડલુના ખબર-અંતર પૂછ્યા હતા અને તબીબો સાથે તેમની સ્થિતિની સમીક્ષા કરીને તમામ શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવા આદેશ આપ્યો હતો. દર વર્ષે પંઢરપુરમાં ભેગા થતા લાખો ભક્તોની સુરક્ષા અને આરોગ્ય ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે આ વર્ષથી જ આ એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે, જેણે પ્રથમ પ્રયાસે જ એક ભક્તનો કિંમતી જીવ બચાવીને પોતાની સાર્થકતા સાબિત કરી દીધી છે.
