શ્રીનગર જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાબળો દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ લશ્કરી અભિયાન ‘ઓપરેશન અશદાર’ દરમિયાન ઠાર કરાયેલા આતંકવાદી અંગે એક મહત્વનો ખુલાસો થયો છે.
સ્થાનિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માર્યા ગયેલો આતંકવાદી પાકિસ્તાની નાગરિક હતો અને તે લાંબા સમયથી વિસ્તારમાં સક્રિય રહીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો.
ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે કિશ્તવાડ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. આ માહિતીને આધારે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત રીતે ‘ઓપરેશન અશદાર’ શરૂ કરવામાં આવ્યું હતું. ઘેરાબંધી દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાબળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેના જવાબમાં કરાયેલા જવાબી ફાયરિંગમાં આ પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો હતો.
ઘટનાસ્થળેથી હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાબળોને મોટી માત્રામાં ગોળીબારના શસ્ત્રો, વિસ્ફોટક સામગ્રી તેમજ પાકિસ્તાની કનેક્શન દર્શાવતા દસ્તાવેજો મળી આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઠાર મરાયેલ આતંકી સરહદ પારથી ઘૂસણખોરી કરીને સ્થાનિક યુવાનોને ભટકાવવા અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યો હતો.
આ સફળ ઓપરેશન બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને આતંકીને સ્થાનિક સ્તરે આશ્રય કે મદદ પૂરી પાડનારા શંકાસ્પદ વ્યક્તિઓની શોધખોળ માટે વ્યાપક કોમ્બિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
