અમદાવાદના લિસ્ટમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામા આવ્યું છે. ત્યારે અમદાવાદમાં અનેક વોર્ડમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. ભાજપના ખાનપુરના કાર્યાલય ખાતે પણ નારાજ કાર્યકર્તાઓનું મોટું જૂથ પહોંચ્યું હતું. જેને પગલે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ખાનપુર કાર્યાલયે દોડી આવ્યા છે અને ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કવાયત હાથ ધરી રહ્યા છે.
ભાજપના શહેર પ્રભારી આઈકે જાડેજાએ પણ નારાજ કાર્યકર્તાઓને મનાવવાના પ્રયાસો કર્યા હતા. આઈ કે જાડેજાએ શહેર સંગઠનમાં નારાજગી અંગે જણાવ્યું કે, કેટલાક વિસ્તારોમાં કાર્યકરોને નારાજગી હશે, દુઃખ થયું હશે. 3 હજાર કરતા વધુ દાવેદારોમાંથી 192ની પસંદગી કરીએ એટલે ક્યાંક દુઃખ થવું સ્વાભાવિક છે.
તમામ કાર્યકરોની વાત સાંભળવામાં આવી છે. તમામ સક્રિય કાર્યકરોને ટિકિટ આપી છે. ઉદ્યોગપતિ, શિક્ષકોથી લઈ રેંકડી ચલાવવાવાળા સુધીના બધાને ટિકિટ આપી છે. ક્યાંક કોઈ નારાજગી હશે પણ તમામ સાથે વાત કરી છે. સિનિયર કોર્પોરેટરોને પણ કાપ્યા નથી, તેમની સાથે પણ વાત કરી છે. કાર્યકરો અને આગેવાનોના દમ પર જ ચૂંટણી જીતીશું. અનામતના કારણે મોટા ફેરફારો થયા છે તેની નારાજગી હોઈ શકે છે.
ખાનપુર કાર્યાલયમાં સવારથી મોટા સંખ્યા પોતાનો વિરોધ દર્શાવવા પહોંચી રહ્યાં છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપના પદાધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે, જેને લઈને ક્યાંય ને ક્યાંય એવું પણ લાગી રહ્યું છે કે કેટલાક કાર્યકતાઓ રાજીનામું આપીને બીજી પાર્ટીમાં પણ જોડાઈ શકે છે.
અનેક કાર્યકરોએ બીજી પાર્ટીમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદમાં એકપણ મુસ્લિમને ટિકિટ ન આપી હોવાથી ગોમતીપુર અને જમાલપુરના ભાજપના મુસ્લિમ કાર્યકર કાર્યાલય પહોંચ્યા હતા. આ કાર્યકરોએ ટિકિટ નહીં આપો તો રાજીનામું આપી બીજી પાર્ટીમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી હતી.
અનેક કાર્યકરોનો આક્ષેપ છે કે ભાજપે નવા ચહેરાને ટિકિટ આપી છે. ત્યારે અનેક લોકો આવીને આ અંગે ફરિયાદ કરી રહ્યાં છે. અમદાવાદમાં ગોતા, ચાંદખેડા, સાબરમતી અને નારણપુરાના કાર્યકરો સવારથી ખાનપુર કાર્યાલયે આવી પહોંચ્યા છે, જેમાં કેટલાક કાર્યકરોએ જણાવ્યું હતું કે અમારી વાતને ધ્યાનમાં લઇને કોઈ ફેરફાર કરે એવી અમારી માગ છે, પરંતુ કોઈ નિર્ણય નહિ લે તો અમે પણ આગળ પાર્ટી વિશે અમારો મત પણ બદલીશું.
અમદાવાદમાં ટિકિટ ફાળવણી મામલે રોષ પર ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતાં કહ્યું છે કે આ દુઃખ તો એક કે બે દિવસનું છે. પાર્ટીએ નવા કાર્યકર્તાઓને લાભ આપ્યો છે, તેઓ એટલી જ ધગશથી કામ કરશે. સ્વાભાવિક છે કે પોતાનું મનગમતું ના થાય તો માણસને મનદુઃખ થાય પરંતુ નારાજ થયેલા કાર્યકર્તાઓ એ જ લગનથી કામે લાગી જશે.
