ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી છે. આ યાત્રામાં ઘણાબધા ગુજરાતીઓ ફસાયા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ ગયા છે. હાલમાં ત્યાંની સરકાર દ્વારા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યા બાદ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત ઉત્તરાખંડના સીએમના પુષ્કર ધામીના સંપર્કમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડના ૧ હજારથી વધુ ગુજરાતી યાત્રાળુંઓ ફસાયેલા છે. જોકે તમામ યાત્રાળું સલામત છે. સરકારે અટવાયેલા લોકો માટે એક હેલ્પ લાઈન શરૂ કરી છે. ૦૭૯ ૨૩૨૫૧૯૦૦ નંબર પર ગુજરાતીઓ યાત્રાળુંઓની વિગત મેળવી શકાશે.
ગૌરીકુંજથી ૫ કિમી પહેલા ફાટા પાસે રસ્તા ઉપર જ ખાનગી વાહનોમાં ગયેલા ગુજરાતી યાત્રીઓ અટવાયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ૦૭૯ ૨૩૨૫૧૯૦૦ નંબર પર ઉત્ત્।રાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.
