અમદાવાદના હાંસોલ વિસ્તારમાં આવેલી તંદૂર પેલેસ હોટલમાં ખેલાયેલ ખૂની ખેલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે
અમદાવાદની એક હોટલમાં યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. હોટલ મેનેજરને ખબર પડતા પોલીસને જાણ કરી, પોલીસે હોટલનાં રૂમમાં જઈ જોતા યુવતીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા યુવતી એક યુવક સાથે આ રૂમમાં આવી હતી, જોકે યુવક ફરાર હતો જેથી પોલીસે તપાસ શરૂ કરી અને અંતે યુવતી સાથે હોટલનાં રૂમમાં જનાર યુવક ઝડપાઈ ગયો. જે પ્રેમી પણ આપઘાત કરવા પહોંચ્યો હતો.
અમદાવાદના હાંસોલ વિસ્તારમાં આવેલી તંદૂર પેલેસ હોટલમાં રવિવારે બપોરના સમયે ખૂની ખેલ ખેલાયો હતો. નસરીન બાનો નામની 22 વર્ષની યુવતી તેના પ્રેમી ચિંતન વાઘેલા સાથે બપોરનાં સમયે હોટલમાં રૂમ નંબર 108માં રોકાઈ હતી. જેનાં બે ત્રણ કલાક બાદ ચિંતન વાઘેલા જમવાનું લેવા જવાનું કહીને હોટલમાંથી નિકળી ગયો,
સાંજ પડતા હોટલનાં મેનેજરે રૂમમાં તપાસ કરતા નસરીન બાનો બેડની બાજુમાં મૃત હાલતમાં જોવા મળી હતી. જેથી એરપોર્ટ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. નરસીન બાનોની ગળુ દબાવી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું જેથી તેનાં પ્રેમી ચિંતન વાઘેલા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
હત્યાની ચકચારી ઘટના બનતા અમદાવાદ ક્રાઈમ બ્રાચ પણ તપાસમાં જોડાઈ અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાચે આણંદ જિલ્લાનાં સોજીત્રા રોડ પરથી ચિંતન વાઘેલાને ઝડપી પાડ્યો હતો. નરસીન બાનુ એરપોર્ટ ખાતે નોકરી કરતી હતી, અને તેણે પ્રેમી ચિંતન વાઘેલા પાછળ 50 હજાર રૂપિયા ખર્ચ કર્યા હતા, જે રૂપિયા તે અવારનવાર માંગતી હતી. રવિવારે બપોરનાં સમયે પણ તેણે પૈસા માંગતા ચિંતને તેને મળવા બોલાવી હતી.
નસરીને હોટલમાં પહોંચતા જ ચિંતન પાસે તાત્કાલિક 50 હજાર રૂપિયાની ઉધરાણી કરતા બન્ને વચ્ચે તકરાર થતા નરસીન બાનોએ ચિંતનને અપશબ્દો બોલ્યા જેથી આવેશમાં આવીને ચિંતને નરસીન બાનોનું ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારી નાખી અને ફરાર થઈ ગયો હતો.
આરોપીની વધુ તપાસમાં સામે આવ્યું કે 2 વર્ષ પહેલા સરદારનગર નજીક આવેલ એક કોમ્પલેક્ષમાં નસરીન બાનો ટેલિકોલિંગની કંપનીમાં નોકરી હતી, ત્યારે ચિંતન વાઘેલા પણ નજીકના કોમ્પ્લેક્સમાં શેરબજારનું કામ કરતો હતો ત્યારે બંને વચ્ચે પરિચય થયો હતો અને પ્રેમ થયો હતો.
બંને એક સાથે રહેવા લાગ્યા હતા અને તેઓ મહિનાઓ સુધી હોટેલમાં સાથે રહેતા હતા. ત્યારે ચિંતન વાઘેલાએ નસરીન બાનુ સાથેનાં બે વર્ષના પ્રેમ સંબંધમાં તેની પાછળ અંદાજે 17 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો, જોકે 6 માસ પહેલા ચિંતન વાઘેલા બેરોજગાર થઈ ગયો હોવાથી પ્રેમિકા નસરીન બાનો પાસેથી 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જે પૈસા નસરીન બાનોએ પોતાની માતાના દાગીના વેચીને પ્રેમી ચિંતન વાઘેલાને ઉછીના આપ્યા હતા. જે પરત માંગતા આરોપીઓ આ ગુનાને અંજામ આપી દીધો હતો.
હત્યા કર્યા બાદ ચિંતન વાઘેલા રીક્ષામાં બેસી કાલુપુર ગયો, ત્યાંથી હાથીજણ અને ત્યાંથી આણંદના ચિખોદરા પહોંચ્યો હતો. આરોપી ચિંતન વાઘેલા પ્રેમિકાની હત્યા બાદ પોતે પણ આત્મહત્યા કરવાનો હતો. ચિંતન બ્રિજ પરથી પડતું મુકવાનો હતો ત્યારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદની કાર્યવાહી શરૂ કરી છે.
