ગુજરાતની જાણીતી નિરમા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હિરેન પટેલના હેલિકોપ્ટરનું આજે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સુરતથી ઉપડ્યા બાદ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે સમયસૂચકતા વાપરી નવસારીના મગોબ ભાઠા ગામે સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી.
શું બન્યું હતું?
મળતી માહિતી મુજબ હિરેન પટેલ, ધ્રુવિલ પટેલ અને દેવ પટેલ આજે બપોરે સુરતથી હેલિકોપ્ટરમાં રવાના થયા હતા. ટેકઓફ બાદ થોડી જ મિનિટોમાં હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી જણાતા પાયલટે તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લીધો હતો. હેલિકોપ્ટરને નવસારીના મગોબ ભાઠા ગામે ONGCના વાલ્વથી આશરે 500 મીટર દૂર ખુલ્લા મેદાનમાં સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું હતું.
તમામ મુસાફરો સુરક્ષિત
હેલિકોપ્ટરમાં નિરમા કંપનીના MD હિરેન પટેલ ઉપરાંત ધ્રુવિલ પટેલ અને દેવ પટેલ સવાર હતા. ઈમરજન્સી લેન્ડિંગ બાદ ત્રણેય મુસાફરો અને પાયલટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ટેકનિકલ ટીમ દ્વારા હેલિકોપ્ટરમાં સર્જાયેલી ખામીની તપાસ હાથ ધરવામાં આવી છે. પાયલટની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
