રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી શરૂ થયેલા વરસાદી માહોલ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ૮ જુલાઈના રોજ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જે ૧૨ જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે, જેના પરિણામે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે.
હવામાન નિષ્ણાંતના મતે, આગામી ૪૮ કલાક વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર માટે અતિ મહત્ત્વના રહેશે, જ્યાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ૪ થી ૫ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ૬ જુલાઈ સુધી ભારે ઝાપટાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં પણ મેઘમહેર યથાવત રહેશે.
અંબાલાલ પટેલે લોકવાયકાને ટાંકતા જણાવ્યું હતું કે, ઈશાન ખૂણામાં થતી સફેદ સર્પઆકારની વીજળી વરસાદ માટે શુભ સંકેત છે. મધ્ય પ્રદેશમાં થનારા ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેશે, જોકે પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર અને દ્વારકા જેવા વિસ્તારોમાં હાલ હળવા વરસાદની શક્યતા છે.
અલ-નીનોની આશંકાઓ છતાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ લાંબા સમય સુધી સક્રિય રહેવાની ધારણા છે. ખેડૂતો અને વહીવટી તંત્ર માટે આ વરસાદી દોર આગામી દિવસોમાં ખૂબ મહત્વનો સાબિત થશે. હવે ૮ જુલાઈથી આવનારી નવી સિસ્ટમ કેટલી અસરકારક રહે છે અને જળાશયોમાં કેટલા નવા નીર આવે છે, તે જોવું રસપ્રદ રહેશે.
