દિલ્હીમાં જંતર-મંતરથી કૉકરોચ જનતા પાર્ટીનાં નેજા હેઠળ યોજાયેલ સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓએ ભારે હંગામો કર્યો. પોલીસે તેને અટકાવવા લાઠીચાર્જ કર્યો અને ટિયર ગેસનાં સેલ પણ છોડ્યા. જે પછી પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા દળોના 50થી વધુ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, પોલીસે આ દરમિયાન ઘણાં પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરી હતી. પોલીસ હવે આ મામલે ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરી રહી છે.
દિલ્હીમાં કોંકરૉચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન ઘણાં સ્થળે તોડફોડની ઘટનાઓ પણ બની હતી. જે પછી પોલીસે એફઆઈઆર દાખલ કરવાની શરૂઆત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, પોલીસ આ ઘટનાઓ મામલે જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવાનું કામ કરી રહી છે. આ સાથે જ પોલીસ આ ઘટનાઓમાં સામેલ પ્રદર્શનકારીઓને ઓળખવામાં લાગી છે. પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અને સ્થાનિક સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની ઓળખ હાથ ધરી છે.
પોલીસ આ મામલે સરકારી સંપત્તિઓને નુકસાન અને સુરક્ષાકર્મીઓ પર હુમલા અંગે એફઆઈઆર નોંધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરકારી સંપત્તિઓને ઘણું નુકસાન થયું છે. ઘણાં સરકારી વાહન અને સ્થળો પર તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત જવાનોને ઈજાગ્રસ્ત થવામાં પણ આરોપીઓ સંડોવાયેલા હતા.
