ગુજરાત એટીએસએ એક મોટી કાર્યવાહી કરીને જૈશ-એ-મોહમ્મદના ૫ શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડયા છે અને તેની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાલ ગામમાંથી ઝડપાયેલા આતંકવાદીઓની આ ધરપકડ અગાઉ આ મહિનાની શરૂઆતમાં પકડાયેલા જૈશના આઠ સભ્યોની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે કરવામાં આવી હતી. આ લોકો સ્થાનિક મસ્જિદમાં ભેગા થઈને ઘાતક આઈઈડી બનાવવાની તાલીમ લઈ રહ્યા હતા અને તેમણે એક સફળ વિસ્ફોટ કરીને તેનું પરીક્ષણ પણ કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
આંકડા ગુજરાતમાં આ તમામ આરોપીઓ જામિયા અબુલ હસન મદરેસામાં રહીને વર્ષ ૨૦૨૩થી બોમ્બ બનાવવાની તાલીમ લઈ રહ્યા હતા. આ મોડ્યુલને ‘અકેલા મુજાહિદ જિહાદ કૈસે કરે’ ટાઇટલવાળી એક ખાસ બુકલેટ પણ આપવામાં આવી હતી, આરોપીઓમાંથી મોહમ્મદ આમીન શેરા સતત કટ્ટરવાદી ભાષણો અને જેહાદી વાતો દ્વારા અન્યને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતો હતો.
૩ વર્ષમાં આ લોકોએ આઠ અલગ-અલગ જગ્યાઓની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વિસ્ફોટકોના મિકેનિઝમ સમજ્યા હતા અને રિહર્સલ કર્યું હતું. ગનપાઉડર બનાવવા માટે જરૂરી સામગ્રી તેમણે ઓનલાઈન અને સ્થાનિક બજારોમાંથી ખરીદી હતી. તપાસ દરમિયાન મોહમ્મદ આમીન શેરા પાસેથી આઈડી બનાવવા માટેની વિસ્ફોટક સામગ્રી અને જૈશના વડા મસૂદ અઝહરના ભાષણો ધરાવતી પેન ડ્રાઈવ પણ મળી આવી.
તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે મોહમ્મદ અયુબ કાદીવાલા, મોહમ્મદ આમીન શેરા, અહેમદ ગાઝીવાલા, ઝકરિયા ઘાઘા સહિતના પાંચેય સભ્યો મદ્રેસાના અન્ય વિદ્યાર્થીઓને પણ આતંકવાદ તરફ વાળવા માંગતા હતા, જેના માટે તેમણે ત્રણ વખત દાવતનું પણ આયોજન કર્યું હતું.
એટીએસની કાર્યવાહીમાં પાંચ જણ પકડાયા છે, આ ઉપરાંત અગાઉ બિલાલ દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘા ઉર્ફે અબુ દુજાના, મોહમ્મદ અબ્દુલ રહમાન સાવદી ઉર્ફે અબુ ઉનેસા, મોહમ્મદ અમીન શરો ઉર્ફે અમીન પાલનપુરી, મુફતી ફૌજાન ઈસ્માઈલ દૌવા ઉર્ફે મુફતી સાબ, જકારિયા દુર્રાની મોહમ્મદ અમ્માર ઘાઘા ઉર્ફે ઈબ્ન અમ્માર, મુદસ્સિર અબ્દુલ્લા ગાઝીવાલા ઉર્ફે અબુ આયા, ઈબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘાઘા ઉર્ફે અબુ હમજા અને અહમદ અબ્દુલ્લા ગાઝીવાલા ઉર્ફે અબુ ઉબૈદા સહિત ૮ પકડાયા હતા.
