
દાહોદ જીલ્લામાં કોરોનાના સતત વધી રહેલા કોરોના કેસોને ધ્યાને લઇને વહીવટી તંત્ર તેમજ વેપારી એસીસીએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત સમગ્ર જિલ્લામાં સમગ્ર જિલ્લામાં સોમવારથી સાંજે 4 વાગ્યાથી સવાર ના 6 વાગ્યા સુધી સ્વયંભુ કરફ્યું રાખવામાં આવશે. અત્રે નોંધનીય છે કે,
સરકાર દ્વારા રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ ગુજરાતના 20 શહેરોમાં લગાવેલો છે. પરંતુ ગ્રામ્ય સ્તરે આ નિર્ણય લાગુ પડતો નથી. જ્યારે ગામડાઓમાં પણ હવે ધીરે ધીરે સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેપારી સંગઠનો સાથે બેઠક કરીને ગ્રામ્ય સ્તરે અને તાલુકા સ્તરે પણ લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે વેપારીઓ સાથે મળીને લોકડાઉન અથવા તો સ્વયંભુ બંધ થાય તેવા પ્રયાસો કરાઇ રહ્યા છે. જેથી કોરોનાની ચેઇન તોડી શકાય.
દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો વધતા નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે વેપારી સાથે થયેલી બેઠકનાં આધારે સ્વયંભુ બંધ માટેનું આહ્વાન કર્યું છે. જેમાં સાંજે 4 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સંપુર્ણ લોકડાઉનની હાંકલ કરી છે. જેમાં દરેક વેપારીઓ આ લોકડાઉનમાં જોડાય.
