દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે દેશભરમાં ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી ગુજરાતમાં યોજાયેલા “નદી ઉત્સવ” નું અમદાવાદના સાબરમતી તટે આસ્થામય રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સમાપન થયું હતું
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણી સનાતન સંસ્કૃતિમાં પવિત્ર નદીઓમાં સ્નાનનો મહિમા મંડિત થયેલો છે. સૌને પીવાનું પાણી પુરો પાડતો કુદરતી સ્ત્રોત એટલે આપણી લોકમાતા સમાન નદીઓ. માનવ જીવનને પોષતી અને વિકાસની ભાગ્ય રેખા સમી લોકમાતા નદીઓની શુદ્ધતા જળવાય તેમાં ગંદકી ન થાય, તે આપણી સૌની નૈતિક જવાબદારી ઉપરાંત નાગરિક ફરજ છે
નદી ઉત્સવથી નદી શુદ્ધ કરવાનો જનસહયોગ શ્રમયજ્ઞ આપણે સુપેરે કરી બતાવ્યો છે. ‘નદી ઉત્સવ’ના કાર્યો આવનારા લાંબા સમય સુધી ગુજરાતની જનતાને નદી અને પર્યાવરણની રક્ષા અને સ્વચ્છતાના સંદેશા આપતા રહેશે એટલું જ નહિ પરંતુ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની નેમ પણ પાર પાડશે એમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદની સાબરમતી કિનારે નદી પૂજા–ઘાટ આરતી–રીવર મશાલ દીપોત્સવનાં પગલે સમગ્ર વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્યો યોજાયા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપેયીજીની જન્મજયંતિ રપમી ડિસેમ્બરથી ગુજરાતમાં સુશાસન સપ્તાહનો આપણે આરંભ કર્યો છે.
નાગરિકને માળખાકીય સુવિધાઓ મળે તેવી શાસન વ્યવસ્થા ઉપલબ્ધ કરવાનો ધ્યેય સાકાર કર્યો છે. આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં તો ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી અને નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાનનો મહિમા મંડિત થયેલો છે. દરેક શુભ કાર્યમાં ભારત વર્ષની આ મુખ્ય નદીઓને યાદ કરી અંજલી-તર્પણ કરવાનો આપણે ત્યાં રિવાજ અને પરંપરા છે.

