વડોદરા શહેરને નવા મેયર મળ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનના મેયર પદે નિલેશ રાઠોડની સર્વાનુમતે નિમણૂક કરાઈ છે. જો કે, 6 મહિના માટે જ તેઓ મેયરનો પદભાર સંભાળશે. જણાવી દઈએ કે, કેયુર રોકડિયા ધારાસભ્ય બની જતા તેમણે મેયર પદથી રાજીનામું આપ્યું છે. આથી મેયરનો પદ ખાલી રહેતા હવે નિલેશ રાઠોડને આ જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપમાં ‘એક વ્યક્તિ એક હોદ્દા’નો નિયમ
માહિતી મુજબ, કેયુર રોકડિયા ધારાસભ્ય બન્યા છે. આથી ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમના કારણે કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાં બાદ નિલેશ રાઠોડની સર્વાનુમતે પસંદગી થતા મેયર પદ માટે તેમના નામ પર મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. જણાવી દઈએ કે, શુક્રવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના નિલેશ રાઠોડની છ મહિના માટે મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
વર્ષોથી ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરી
નિલેશ રાઠોડ વર્ષોથી ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યા હતા. વર્ષ 2006થી યુવા મોરચામાં જોડાઈને તેમણે કાર્યકર્તાની ભૂમિકા નિભાવી હતી. જ્યારે છેલ્લા 3 ટર્મથી તેઓ કોર્પોરેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના પક્ષના નેતા તરીકે પણ તેઓની પસંદગી થઈ હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને સાંસદ રંજન ભટ્ટ સહિત અન્ય અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
