રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, ત્યારબાદ ગરૂડેશ્વર ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યકરો સહિત સરદાર સરોવર નર્મદા ડેમના વિસ્થાપિતોએ પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગરૂઢેશ્વર ચોકડી ખાતે સરદાર સરોવર નર્મદા ડેમના 6 ગામોના અસરગ્રસ્તો સાથે રાહુલ ગાંધીએ વાર્તાલાપ કર્યો હતો જેમાં અસરગ્રસ્તોએ રાહુલ ગાંધી સમક્ષ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે પોતાની માલિકીની જમીન સરકારે પોતાના હસ્તક કરી લીધી અને પોતે વિસ્થાપિત થયા, અને તેઓ ન્યાય માટે દાયકાઓથી સરકાર સામે લડત ચલાવતા હોવા છતાં તેઓને ન્યાય ન મળતો હોવાનો આક્રોશ રાહુલ ગાંધી સમક્ષ વ્યકત કર્યો હતો. તેઓને રાહુલ ગાંધીએ સાંત્વના આપી હતી.
ગરૂઢેશ્વર તાલુકાના એક પૂર્વ સૈનિકે પણ રાહુલ ગાંધી સમક્ષ પોતાની હૈયા વેદના ઠાલવી હતી અને હાલમાં કેન્દ્ર સરકારે લશ્કરમાં ભરતી થવા માટે અમલી બનાવેલ અગ્નિવીર યોજના દેશના યુવાનો માટે અન્યાય રૂપ હોવાનો પૂર્વ સૈનિકે જણાવ્યું હતું, અને પુર્વ સૈનિકો ની તેમના પ્રશ્નનો યોગ્ય માંગણીઓ માટે ભાજપા સરકાર અનદેખી કરતી હોવાનુ સૈનિકે રાહુલ ગાંધી ને જણાવ્યુ હતું.
રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા રાજપીપળા ખાતે પ્રવેશતા રાજપીપળા ના વડિયા પેલેસ, કાળીયાભૂત,ગાંધી ચોક, સંતોષ ચોકડી, સફેદ ટાવર, આંબેડકર પ્રતિમા, કાલાઘોડા તરફ ના મુખ્ય માર્ગો ઉપર થી પસાર થઈ હતી. રાહુલ ગાંધી એ રાજપીપળા ના પ્રસિદ્ધ હરસિધ્ધિજી માતાના મંદિરમાં જઇ દર્શન કર્યા હતા.
રાહુલ ગાંધીને નિહાળવા અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવા હજારો ની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. એક વૃદ્ધ આદિવાસી મહિલા 10 રૂપિયાના ફૂલો લઈને રાહુલ ગાંધીને પુષ્પો અર્પણ કરવા માટે આવી હતી.

