રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે મધ્યમવર્ગીય પરિવારો અને દૈનિક મુસાફરી કરતા નોકરિયાતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. સીએનજી (CNG) ગેસના ભાવમાં ઝીંકાયેલા અસહ્ય વધારાને પગલે આખરે વાહનવ્યવહાર વિભાગ દ્વારા રીક્ષાના ભાડામાં રૃપિયા ૫નો વધારો કરવા માટેની રજૂઆત પર મંજૂરની મહોર મરાઈ છે. આ નિર્ણયને કારણે સ્થાનિક મુસાફરો પર આર્થિક ભારણ વધશે તે નક્કી છે.
નવા સુધારેલા દર મુજબ, હવે રીક્ષાનું લઘુતમ (મિનિમમ) ભાડું રૃપિયા ૨૦થી વધારીને રૃપિયા ૨૫ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે રીક્ષામાં બેસતાની સાથે જ મુસાફરોએ સીધા ૨૫ રૃપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત, મિનિમમ ભાડા પછીના પ્રત્યેક કિલોમીટર દીઠ દરમાં પણ વધારો લાગુ કરાયો છે. છેલ્લા કેટલાક સમયથી સીએનજીના ભાવ આસમાને પહોંચતા રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભાડા
વધારા માટે સતત રજૂઆતો અને આંદોલનની ચીમકી આપવામાં આવી રહી હતી. રીક્ષા ચાલકોનું કહેવું હતું કે, ગેસ મોંઘો થવા છતાં ભાડું જૂનું હોવાથી તેમનો રોજી-રોટીનો ખર્ચ નીકળવો મુશ્કેલ બન્યો હતો. વાહન વ્યવહાર વિભાગે રીક્ષા ચાલકોની આ માંગણીને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે.
બીજી તરફ, આ નિર્ણયથી સામાન્ય જનતા, ખાસ કરીને શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના બજેટ ખોરવાઈ જશે. સ્થાનિક મુસાફરોના મતે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર ઓછી હતી ત્યાં હવે રોજિદી મુસાફરીના સાધન સમાન રીક્ષાનું ભાડું વધતાં મોંઘવારીનો બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં આ નવો ભાવ વધારો સત્તાવાર રીતે લાગુ થઈ જશે. વાહનવ્યવહાર કમિશનરે કહ્યું કે, ભાડાં વધારાને મંજૂરી આપી દરખાસ્ત સરકારમાં મોકલી છે. સરકારની મંજૂરી બાદ સત્તાવાર જાહેરનામુ પ્રસિધ્ધ કરાયા બાદ તેનો અમલ કરાશે
