ગાયકવાડ હવેલી વિસ્તારમાં બે બકરાની પશુ બલિ ચડાવી દેવાય છે. આજના આધુનિક યુગમાં પણ લોકો પોતાના કામ પૂરા કરવા માટે અબોલ પશુઓને શ્રદ્ધાની આડમાં મોતના ઘાટ ઉતારી દે છે. ત્યારે આ મામલે પ્રાણીઓ માટે NGO ચલાવતા દીપાબેન જોશીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુ બલિ ચડતી હોવાની વાત પોલીસને જાણવા મળી હતી. જે બાદ પોલીસ મહાજનના વંડામાં પહોંચ્યા હતા. જ્યાં જોયું તો બે બકરાની બલિ ચડાવવામાં આવી હતી. ત્યાં હાજર દંપતીએ પરંપરાગત વિધિથી બકરાની બલિ ચડાવી હતી. અને બલિ ચડાવેલા બંને બકરાના કપાયેલા માથા માતાજીના મંદિરમાં મુકવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહાજનના વંડામાં આવેલા માતાજીના મંદિરમાં રમેશ સરગરા અને લલીબેન સરગરાએ પશુ બલિ ચડાવી હતી. જેથી પોલીસે બલિ ચડાવનાર દંપતિ અને વિધિ કરનારા બે લોકો સહિત કુલ 4 લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આ પહેલાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પશુ બલિ ચડાવાઈ હતી અને હવે ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુ બલિની ઘટના બની છે. ત્યારે સૌથી મોટો સવાલ તો એ છે કે આજે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. તો બીજી તરફ એવા પણ લોકો છે, કે જે અંધશ્રદ્ધાની આડમાં હજુ પણ પશુ બલિમાં માન્યતા ધરાવે છે.
