અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારને ગેરકાયદે દબાણોથી સંપૂર્ણપણે મુક્ત કરવાની ઝુંબેશ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આજે, બુધવારે, ચંડોળા તળાવ ખાતે આવેલા કેટલાક ગેરકાયદે ધાર્મિક સ્થળો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આવા ૬ ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા છે, જેમાં કુખ્યાત લલ્લા બિહારીના ઠેકાણા નજીક ઉભી કરાયેલા ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે.
૧૨,૦૦૦થી વધુ દબાણો દૂર કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ હટાવવાનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ, ચંડોળા તળાવની આસપાસના તમામ કાચા-પાકા નાના-મોટા મળીને ૧૨,૦૦૦થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બે તબક્કામાં હાથ ધરાઈ હતી, પ્રથમ તબક્કામાં ૪,૦૦૦ બાંધકામો દૂર કરાયા હતા, જ્યારે બીજા તબક્કામાં ૮,૦૦૦ જેટલા બાંધકામોને હટાવવામાં આવ્યા હતા.
આજે હાથ ધરાયેલા ડિમોલિશનમાં સ્થાનિક રહીશોએ ગેરકાયદે ધાર્મિક સ્થળ માટે સહમતિ દર્શાવતા તેને તોડી પાડવામાં આવ્યું હતું. આ કામગીરી માટે ૧૫ થી વધુ જેસીબી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે એસીપી શરદ સિંઘલ, અજિત રાજયાણ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ જવાનો સાથે હાજર રહ્યા હતા.
કાટમાળ હટાવવાની કામગીરી અને તળાવના વિકાસની યોજના
AMC એ ચંડોળામાંથી તમામ ગેરકાયદે દબાણો તોડી પાડ્યા બાદ હવે કાટમાળ હટાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ૧૦૦ જેટલી ટ્રકો દ્વારા કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે, અને રોજના બે હજાર ટનથી વધુ કાટમાળ દૂર કરાઈ રહ્યો છે. ચંડોળામાંથી નીકળેલી માટીનો ઉપયોગ ગ્યાસપુર ખાતેના વનીકરણ પ્રોજેક્ટમાં કરવામાં આવશે.
ડિમોલિશનની કામગીરી બાદ ચંડોળા તળાવને ઊંડું કરવામાં આવશે, જેથી વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય. 
AMC દ્વારા ₹૨૭.૫૩ કરોડના ખર્ચે ચંડોળા તળાવનો આધુનિક રીતે વિકાસ કરવાની યોજના છે, જેથી તે એક પ્રવાસી આકર્ષણનું કેન્દ્ર બની શકે અને તેમાંથી આવક પણ મેળવી શકાય.
ચંડોળા તળાવના વિકાસ પ્રોજેક્ટની ઝલક
ચંડોળા તળાવના આધુનિક વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સુવિધાઓ ઉમેરવામાં આવશે:
* તળાવની ફરતે ડ્રેનેજ લાઇન અને વોક-વે
* બીઆરટીએસ (BRTS) રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ
* થિયેટર અને જંગલ જીમ
* ખંભાતી કુવા
* પાર્ટી પ્લોટ, ઇવેન્ટ માટે શેડ
* સુએજ પમ્પિંગ સ્ટેશન
* આખી તળાવની ફરતે દીવાલ
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ચંડોળા તળાવ માત્ર પાણીના સંગ્રહનું સ્થાન જ નહીં, પરંતુ અમદાવાદના નાગરિકો માટે એક સુંદર હરવા-ફરવાનું સ્થળ પણ બની રહેશે.
