ગુજરાત સરકારે ટુ વ્હીલર ચાલકોની સલામતી માટે ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ કર્યો છે. આ કાયદા પછી સુરત અને રાજકોટમાં તેનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાયદાની વિરોધમાં માત્ર લોકોએ જ નહીં પણ સત્તારૂઢ પાર્ટીના નેતાઓ અને વિરોધ પક્ષ બંનેએ રોષ ઠાલવ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સરકારે એક અલગ જ નિણર્ય લીધો છે. હવે પોલિસ જો તમે હેલ્મેટ વગર પકડાશો તો દંડ કરવાને બદલે તમને ગુલાબ આપશે.
સરકારના નવા નિર્ણય અનુસાર હવે હેલ્મેટ નહીં પહેરનારા વાહનચાલકોને તરત દંડ કરવામાં નહીં આવે. પરંતુ તેમના હાથમાં એક ગુલાબ આપીને શાંત અને સમજદારીપૂર્ણ રીતે નિયમનું મહત્વ સમજાવવામાં આવશે. પોલીસ વિભાગને પણ આ અંગે નિર્દેશ અપાયો છે કે જ્યાં સુધી યોગ્ય જાગૃતિ ન ફેલાય ત્યાં સુધી દંડ ન કરવામાં આવે. તેના બદલે લોકોને હેલ્મેટ પહેરવાની આવશ્યકતા અને તેની પાછળની સલામતી અંગે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ હેલ્મેટ ફરજિયાત નીતિ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હેલ્મેટ ફરજિયાત બનાવવાનો નિર્ણય યોગ્ય નથી. રાજ્ય સરકારે આ બાબતે ફરી વિચાર કરવો જોઈએ. તેમણે ઉમેર્યું કે રાજકોટ બાદ હવે સુરતમાં પણ લોકોમાં આ નિર્ણય વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. કુમાર કાનાણીએ ગૃહ વિભાગના નિર્ણય પર સવાલ ઊભા કરતાં કહ્યું કે, હેલ્મેટ મુદ્દે લોકો તકલીફમાં છે. ભલામણ એ છે કે રાજ્યના તમામ મહાનગરો અને શહેરોમાં હેલ્મેટ અંગે પુનર્વિચાર કરવામાં આવે, જેથી સામાન્ય જનતા પર ભાર ન પડે.
સુરતમાંથી પણ આ મુદ્દે પ્રબળ અવાજ ઊઠ્યો હતો. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનવાલાએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઈમેઇલ દ્વારા આવેદન પાઠવીને હેલ્મેટ ફરજિયાત મુદ્દે ફરી વિચાર કરવાની માંગ કરી હતી. તેમણે પત્રમાં દંડના નામે થતી ‘ઉઘાડી લૂંટ’ પર ગંભીર આક્ષેપ મૂક્યા હતા. વિપુલ ઉધનવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસ દંડના નામે પ્રજાને પરેશાન કરે છે. દંડ લેવાના બહાને પોલીસ લૂંટ ચલાવી રહી છે અને એ પરિસ્થિતિ સામાન્ય જનતાની જીંદગી માટે વધુ મુશ્કેલીઓ ઉભી કરે છે. તેમણે આ વિષયમાં સુરતના ધારાસભ્યોની નિશ્ક્રિયતાની પણ નિંદા કરી છે અને માંગ ઉઠાવી છે કે લોકોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં લઈને હેલ્મેટ ફરજિયાત મુદ્દે વ્યાપક સમીક્ષા કરવામાં આવે.
સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં હેલ્મેટના દંડ સામે લોકોને પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હતો. અનેક ધારાસભ્યો અને સ્થાનિક પ્રતિનિધિઓએ પણ આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે દંડ કરતા પહેલા લોકોમાં જાગૃતિ લાવવી વધુ જરૂરી છે. રાજ્ય સરકારે લોકોની લાગણીઓને માન આપી અને સતત સુરક્ષા જાળવી રાખવા માટે એક વ્યાવહારિક રીત પસંદ કરી છે, જેમાં દંડની ભયની જગ્યાએ સમજદારીથી લોકોમાં નિયમોની પ્રેરણા જગાવવાનો પ્રયાસ છે.
જોકે દંડને હાલ નહીં લેવામાં આવે પણ હેલ્મેટ માટેનું સુરક્ષા અભિયાન રાજ્યભરમાં ચાલુ રહેશે. વાહનચાલકોને સતત જાગૃત કરવામાં આવશે કે હેલ્મેટ તેમના માટે જીવ બચાવનારી ઢાલ છે અને તે કોઇ પણ જાતનો દંડ ટાળવા માટે નહીં પરંતુ પોતાની સેફટી અને સલામતી માટે છે.
આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકાર લોકોની ભાવનાઓને માન આપે છે, પરંતુ દરેક નાગરિકની પણ જવાબદારી છે કે તે નિયમોનું પાલન કરે. ગુલાબના રૂપમાં આપેલો સંદેશ સકારાત્મક છે, પરંતુ તેની પાછળ છૂપાયેલું સંદેશ એ છે કે “સલામતીમાં જ સમજદારી છે”.
