ફિલ્મ અભિનેતા નાના પાટેકરએ પાકિસ્તાની ગોળીબારના પીડિતો સાથે મુલાકાત કરી અને રાહત સામગ્રી તથા આર્થિક મદદ આપી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા અને કહ્યું કે સરહદ પર રહેતા આપણા પોતાના લોકો છે, જેની સાથે અમે ઊભા છીએ.
નાના પાટેકરે પોતાના નિર્મલા ગજાનન ફાઉન્ડેશન અંતર્ગત આ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, ૭થી ૧૦ મેની વચ્ચે પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં જીવ ગુમાવનારા અને ઘરનું નુકસાન વેઠનારા ૧૧૭ પરિવારોને કુલ ૪૨ લાખની મદદ આપવામાં આવી છે.
પાટેકરે જણાવ્યું કે, તેમણે એક ૧૧ વર્ષીય બાળકીના અભ્યાસની જવાબદારી ખુદ ઉઠાવી છે, જેના પિતા અમરીક સિંહનું મોત પૂંછમાં પાકિસ્તાની હુમલામાં થયું હતું. આ અમારી નાની એવી કોશિશ છે એ બતાવવાની કે સરહદ પર રહેનારા લોકો એકલા નથી. અમે સરકાર પર જ નિર્ભર ન રહેવું જોઈએ, દરેક વ્યક્તિએ આગળ આવીને કમસે કમ એક પરિવારને દત્તક લેવો જોઈએ. આ અવસર પર તેમની સાથે ૨૫મી ઈન્ફેન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ કૌશિક મુખર્જી અને રાજોરીના ડેપ્યુટી કમિશનર અભિષેક શર્મા પણ હાજર હતા.
તેમણે કહ્યું કે હું તો ખાલી એક ચહેરો છું. અસલી કામ પાછળથી થઈ રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અમિતાભ બચ્ચન અને જોની લીવર પણ આ કામમાં સહયોગ કરી રહ્યા છે. કામ તો અમારી ટીમ કરી રહી છે. આ શરૃઆત છે. અમે તેને ચાલું રાખીશું.નાના પાટેકરે જણાવ્યું કે તેમનું ફાઉન્ડેશન જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને કાશ્મીરમાં કુલ ૪૮ આર્મી ગુડવિલ સ્કૂલોને દત્તક લઈ ચૂકી છે, જેથી શિક્ષણની ગુણવત્તા અને પાયાની સુવિધામાં સુધારો લાવી શકાય.
