રમતગમત દ્વારા ચારિત્ર્ય નિર્માણ, ચારિત્ર્ય દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે, ક્રીડા ભારતી દેશમાં ‘સશક્ત ભારત, સક્ષમ ભારત’ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરી રહી છે.
આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે, રમતગમત દ્વારા સમાજના દરેક વ્યક્તિને જોડવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને તેમને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી પ્રેરિત કરવા માટે ક્રીડા ભારતી સતત કાર્ય કરી રહી છે. આ કાર્યને સિદ્ધ કરવા માટે, ક્રીડા ભારતી દર ત્રણ વર્ષે રાષ્ટ્રીય અધિવેશન નું આયોજન કરે છે. જેમાં આવનારા ત્રણ વર્ષ માટે રમત ક્ષેત્ર અને રમતવીરો માટે કેવા પ્રકારની નીતિઓ હોવી જોઈએ તે અંગે ચર્ચા અને ચિંતન કરે છે.
ગુજરાત પ્રદેશ માટે આ આનંદ ની ક્ષણ છે કે આ વર્ષે રાષ્ટ્રીય અધિવેશન ગુજરાત, કર્ણાવતીમાં યોજાઈ રહ્યું છે. તારીખ ૨૬મી થી ૨૮મી ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન શ્રી કલ્કિ તીર્થધામ, પ્રેરણાપીઠ ,પીરાણા માર્ગ, ગિરમાથા, કર્ણાવતી, ગુજરાત ખાતે ભારતભર ના ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અને પ્રાંત સ્તરના પ્રમુખ કાર્યકર્તા કર્ણાવતી નાં અતિથી બનશે.
ભારતના કુલ ૪૫ પ્રાંત ના ૧૨૦૦ થી વધુ ક્રીડા ભારતી ના કાર્યકરો આ અધિવેશન માં જોડાશે. જેમાં કાશ્મીર થી કન્યાકુમારી અને ઉત્તર પૂર્વીય રાજયો ના કાર્યકર્તાઓ મનોમંથન અને ક્રીડા ભારતી દ્વારા સ્વસ્થ સમાજ નાં નિર્માણ ના સત્રો ને આયોજિત કરાશે. આ કાર્યક્રમ માં કુલ ૧૦૦૦ થી વધુ ભાઈઓ અને ૨૦૦ થી વધુ બહેનો વિવિધ જીલ્લા અને રાજ્યમાં જોડાશે.
તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવાર નાં સવારે ૦૯:૦૦ વાગે અધિવેશન ના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય , વિશેષ અતિથી તરીકે ઓલિમ્પિક ખેલાડી શ્રી ગોપાલ સૈની- પ્રમુખ, ક્રીડા ભારતી, શ્રી ચૈતન્ય કશ્યપ- કાર્યકારી અધ્યક્ષ, ક્રીડા ભારતી, (કેબીનેટ મંત્રી, મધ્ય પ્રદેશ રાજ્ય), શ્રી રાજ ચૌધરી, મહામંત્રી, ક્રીડા ભારતી, અને શ્રી વિવેકભાઈ પટેલ – અધ્યક્ષ ગુજરાત પ્રદેશ, ક્રીડા ભારતી, કાર્યક્રમ ની શોભામાં અભીવૃદ્ધી કરશે.
ઉદઘાટન સત્ર દરમિયાન, ક્રીડા જ્યોત – ખેલ વિશ્વ સાથે જોડાયેલ વિવિધ પાસાઓ ઉપર ના ગહન અધ્યન અને લેખો નું પુસ્તક નું વિમોચન માનનીય મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જી ના હસ્તે કરવામાં આવશે. ત્યાર બાદ ત્રણ દિવસના અધિવેશન માં ખેલ જગત અને તે સાથે સંકળાયેલા વિવિધ આયામો માં ક્રીડા ભારતી દ્વારા ચિંતન અને મંથન થશે.
