April 16, 2026
દેશરાજકારણ

લિકર કેસમાં દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર, સત્યની લાંબા સમયે જીત

દિલ્‍હીના રાજકારણમાં વર્ષોથી ચાલી રહેલા કથિત દારૂ કૌભાંડના ડ્રામાનો અંત આખરે સત્‍યની જીત સાથે આવ્‍યો હોય તેવું લાગી રહ્યું છે. રાઉઝ એવન્‍યુ કોર્ટે શુક્રવારે એક અભૂતપૂર્વ ચુકાદો આપતા દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના આ આદેશથી કેન્‍દ્ર સરકારની તપાસ એજન્‍સી CBI ને મોઢા પર લપડાક મળી છે.

જજ જીતેન્‍દ્ર સિંહે સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે સીબીઆઈએ કોઈપણ નક્કર પુરાવા વિના માત્ર અનુમાનોના આધારે આટલા મોટા નેતાઓ પર ગંભીર આરોપો લગાવી તેમને ફસાવ્‍યા હતા. ચુકાદો સાંભળતા જ લાંબા સમયથી જેલ અને કાયદાકીય લડાઈ લડી રહેલા અરવિંદ કેજરીવાલ પોતાની આંખોના આંસુ રોકી શકયા નહોતા.

સ્‍પેશિયલ જજ જીતેન્‍દ્ર સિંહે સીબીઆઈની ચાર્જશીટની તપાસ કરતા તેમાં ગંભીર ખામીઓ શોધી કાઢી હતી. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ એજન્‍સી એ સાબિત કરવામાં સદંતર નિષ્‍ફળ રહી છે કે એક્‍સાઇઝ પોલિસીમાં કોઈ મોટું કાવતરું કે ગુનાહિત ઈરાદો હતો. જસ્‍ટિસ સિંહે આકરા શબ્‍દોમાં સીબીઆઈને ઠપકો આપતા કહ્યું કે, ચાર્જશીટમાં લગાવવામાં આવેલા આરોપોને કોઇ સાક્ષી કે મજબૂત દસ્‍તાવેજી પુરાવાનું સમર્થન નથી.

કોર્ટે નિષ્‍પક્ષ તપાસના મહત્‍વ પર ભાર મૂકતા ઉમેર્યું કે કોઈ પણ વ્‍યક્‍તિને પાયાવિહોણા આરોપોના આધારે લાંબો સમય હેરાન કરી શકાય નહીં. મનીષ સિસોદિયા વિરુદ્ધ પણ કોઈ પ્રથમદર્શી કેસ ન બનતો હોવાનું કોર્ટે સ્‍વીકાર્યું હતું.

આ ઐતિહાસિક ચુકાદો આપનાર જજ જીતેન્‍દ્ર સિંહ હાલમાં દિલ્‍હીના કાયદાકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્‍યા છે. દિલ્‍હી ન્‍યાયિક સેવાના વરિષ્ઠ અધિકારી એવા જીતેન્‍દ્ર સિંહ પોતાની પ્રમાણિકતા અને કડક વલણ માટે જાણીતા છે. દિલ્‍હી યુનિવર્સિટીના કાયદાના તાાતક એવા જસ્‍ટિસ સિંહ ઓક્‍ટોબર ૨૦૨૪ થી વધારાના સત્ર ન્‍યાયાધીશ તરીકે કાર્યરત છે. તેમણે સીબીઆઈ અને બચાવ પક્ષની દલીલોને અત્‍યંત ઝીણવટપૂર્વક સાંભળ્‍યા બાદ આ મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમની બેન્‍ચે સ્‍પષ્ટ કર્યું કે ફરિયાદ પક્ષ પોતે રચેલા કાવતરાના પત્તાના મહેલને સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્‍ફળ રહ્યો છે, જેના કારણે નિર્દોષ નાગરિકોની સ્‍વતંત્રતા જોખમાઈ હતી.

આ ચુકાદાના દૂરગામી પરિણામો હવે દિલ્‍હી અને દેશના રાજકારણ પર જોવા મળશે. જે કેસને આધારે આમ આદમી પાર્ટીને ભ્રષ્ટાચારી સાબિત કરવાના પ્રયાસો થયા હતા, તેમાં કોર્ટની ક્‍લીન ચીટ મળતા હવે AAP વધુ આક્રમક રીતે મેદાનમાં ઉતરશે. સુનાવણી દરમિયાન કે. કવિતા અને અમનદીપ ઢલ જેવા અન્‍ય આરોપીઓ વીડિયો કોન્‍ફરન્‍સથી જોડાયા હતા અને તેમને પણ મોટી રાહત મળી છે.

કોર્ટે તપાસ એજન્‍સીની કાર્યશૈલી પર જે સવાલો ઉઠાવ્‍યા છે, તે આવનારા સમયમાં તપાસ એજન્‍સીઓની વિશ્વસનીયતા પર પણ ચર્ચા જગાવશે. આમ, આ ચુકાદો કેજરીવાલ માટે માત્ર કાયદાકીય વિજય નથી, પરંતુ એક મોટું નૈતિક અને રાજકીય હથિયાર સાબિત થશે.

Related posts

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી દેશને આપી દિવાળીની શાનદાર ભેટ

Ahmedabad Samay

પ્રધાનમંત્રીની ચિંતા વધી, ચાર રાજ્યના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઇ ચર્ચા કરી

Ahmedabad Samay

ફ્રૂટ યાર્ડ તરીકે જાણીતા વંથલી યાડૅમાં કોંગ્રેસ શાસન ગુમાવે તેવી શક્યતા

Ahmedabad Samay

પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુખદ સમાચાર, એક્ટર અને બોડી-બિલ્ડર વરિંદર સિંહ ધુમનનું થયું નિધન

Ahmedabad Samay

જમ્મુ એરપોર્ટ પર ડ્રોનથી હુમલ્લો કરાયો, પહેલી વાર કરાયું ડ્રોનથી હુમલો

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પર જાણીએ તેમના અત્યાર સુધીના ઐતિહાસિક નિર્ણયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો