અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રાને લઈને નાગરિકોમાં અદભુત ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક રથયાત્રા સંપૂર્ણપણે સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવા સુદ્રઢ આયોજનના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
તેમણે રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિક અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કાફલામાં જોડાઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સંવેદનશીલ પોઇન્ટ્સ તેમજ ઇમરજન્સી સેવાઓના આગોતરા આયોજન અંગે ગ્રાઉન્ડ ઝીરો પર સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
